જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતાં યુવાનને ઓપરેશન માટે જામનગરન ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું ઓક્સિજન લેવલ અને બ્લડપ્રેસર ઘટી જતાં મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવ વિગત મુજબ જામનગર તાલુકાના ફલ્લા ગામમાં પાણીના ટાંકા પાસે રહેતા પ્રકાશભાઇ મગનભાઇ કાલાવડિયા (ઉ.વ.46) નામના યુવાનને નાકમાં મસો થઇ ગયો હોય જેથી મંગળવારે સારવાર માટે શહેરના રણજિતસાગર રોડ ઉપર આવેલી ચૈતન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઓપરેશન થયા બાદ જનરલ વોર્ડમાં શિફ્ટ કરાતા સમયે યુવાનનું ઓક્સિજન લેવલ અચાનક ઘટી ગયું હતું. સાથે સાથે બ્લડપ્રેસર ઘટી જતાં બેશુદ્ધ થઇ જવાથી મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પુત્ર મીત દ્વારા જાણ કરાતા એએઆઇ એન. કે. ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી આદરી હતી.


