જામનગરમાં સિંચાઈના પાણીના પ્રશ્નને લઈને ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી તેમજ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ઉંડ-૧ સિંચાઈ યોજનાની ફલ્લા સેક્શન હેઠળ આવતી કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેવી મુખ્ય માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા.
સોયલ, નથુવડલા, મજોઠ, આણંદા, નેસડા, વાવડી, લીંબુડા અને હડીયાણા સહિતના ગામોના ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા. ખેડૂતો દ્વારા ઉંડ-૧ સિંચાઈ યોજનાની કેનાલોમાં પાણી ઉપલબ્ધ કરાવવા તેમજ ખેતી માટે જરૂરી સિંચાઈનું પાણી વહેલી તકે છોડવાની માંગ કરવામાં આવી હતી.
ખેડૂતોના જણાવ્યા મુજબ ચાલુ સિઝનમાં ઓછા વરસાદના કારણે ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ નથી. વરસાદની અછત વચ્ચે પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. આવા સંજોગોમાં ઉંડ-૧ યોજનાની કેનાલોમાંથી પાણી છોડવામાં આવે તો ખેડૂતોને રાહત મળી શકે તેમ છે. સૌની યોજના મારફતે સિંચાઈ માટે પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો એકત્રિત થયા હતા.
View this post on Instagram
આ માંગને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઘેરાવ કરી પોતાની રજૂઆત કરી હતી અને સિંચાઈના પાણીનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવા માટે તંત્ર સમક્ષ માંગ ઉઠાવી હતી. ખેડૂતો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, ખેતીના પાક માટે હાલ સિંચાઈનું પાણી અત્યંત જરૂરી હોવાથી કેનાલમાં પાણી છોડવા અંગે વહેલી તકે નિર્ણય લેવામાં આવે.
ખેડૂતોની રજૂઆત બાદ સિંચાઈ વિભાગના સ્થાનિક અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાના વિભાગને જાણ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. ઉચ્ચ વિભાગ તરફથી નિર્ણય મળ્યા બાદ તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીઓએ ખેડૂતોને જણાવ્યું હતું.


