શિક્ષણના નામે લુંટ, પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે વિદ્યાર્થીઓના અવાજને બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા છાત્ર ગુંજ કાર્યક્રમ યોજાશે આ અંગે યોજાયેલ પત્રકાર પરીષદમાં માહિતી આપવામાં આવી હતી.

કોંગ્રેસે જણાવ્યું હતું કે ભારતનું ભવિષ્ય બાળકો અને યુવાનોના હાથમાં છે પરંતુ આજે દેશનું શિક્ષણ તંત્ર નબળુ પડી રહ્યું છે. યુવાનોની મહેનત સાથે અન્યાય થઇ રહ્યો છે. મોદી સરકારના છેલ્લા 10 વર્ષ દરમિયાન અંદાજે 89 જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને 48 જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. નીટ, સીબીએસસી સહિતની અનેક પરીક્ષાઓમાં કૌભાંડો અને ગેરરીતીના આક્ષેપો થયા છે. અનેક ભરતી પરીક્ષાઓના પેપર લીક થયા અને પરીક્ષાઓ રદ થતાં યુવાનોને સંઘર્ષ કરવો પડયો પરીક્ષા સંચાલન માટે જવાબદાર અધિકારીઓ અને તંત્ર સામે દાખલારૂપ કડક કાર્યવાહી જોવા મળતી નથી. આથી કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શિક્ષણ વ્યવસ્થામાં સુધારા, પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શીતા, પેપર લીક અને ભરતી કૌભાંડ સામે કડક કાર્યવાહી સહિતના મુદે રાજ્ય વ્યાપી અભ્યાન ચલાવવામાં આવશે વિદ્યાર્થીઓના પ્રશ્ર્નો, સુચનો, ફરિયાદોને વાચા આપવામાં આવશે.
આ પત્રકાર પરીષદમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ વિપક્ષી નેતા ધવલભાઇ નંદા, કોંગ્રેસ અગ્રણી બિપેન્દ્રસિંહ જાડેજા, લલીતભાઇ વસોયા, ભીખુભાઇ વારોતરીયા, મનોજભાઇ કથીરીયા, એનએસયુઆર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, જીવણભાઇ કુંભારવાડીયા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


