દ્વારકામાં અંબુજાનગર વિસ્તારમાં રહેતાં અને ઇલેકટ્રીક કામ કરતાં યુવાને 15%ના વ્યાજે લીધેલી રૂા. પાંચ લાખની રકમ પેટે સાડા છ લાખ રૂપિયા ચૂકવ્યા છતાં વધુ વ્યાજની માંગણી કરતાં વ્યાજખોરે ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ દ્વારકાના અંબુજા નગર વિસ્તારમાં રહેતા અને ઈલેક્ટ્રીક કામ કરતા નીલભાઈ રામજીભાઈ થોભાણી (ઉ.વ. 40) નામના વેપારી યુવાને વર્ષ 2024ના સમયગાળામાં દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા સુનિલ રામલખનભાઈ નિશાદ નામના શખ્સ પાસેથી રૂપિયા પાંચ લાખની રકમ 15 ટકાના વ્યાજ દરથી લીધી હતી. આ પછી ફરિયાદી નીલ થોભાણીએ આરોપી સુનિલ નિશાદને કટકે કટકે રૂપિયા સાડા છ લાખ રોકડા તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે પરત આપી દીધા હતા. તેમ છતાં પણ આરોપી શખ્સ દ્વારા ફરિયાદી યુવાન પાસે વ્યાજ સહિત રૂપિયા સાડા સાત લાખની રકમની માંગણી કરવામાં આવતી હતી. જેથી ફરિયાદી યુવાને વધારે વ્યાજ તથા રકમ આપવાની ના કહેતા આરોપીએ તેમને ફોનથી તેમજ રૂબરૂ બોલાવીને બળજબરીપૂર્વક રકમ કઢાવવા માટે હેરાન-પરેશાન કરવામાં આવતા હતા.
આટલું જ નહીં, વ્યાજના પૈસાની માંગણી કરી, જો તે રૂપિયા નહીં આપે તો ફરિયાદી નીલભાઈને તેમજ તેમના અન્ય સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આને અનુલક્ષીને દ્વારકા પોલીસે બીએનએસની કલમ 308 (5) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે.


