સૌરાષ્ટ્રમાં સૌથી વિશાળ અને સુવિદ્યાયુકત જવેલરી મોલ ધરાવતા ‘નવનીત જવેલ્સ’ ના ઉપક્રમે ધનતેરસના પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું તેમજ તેના જાહેર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના માંડલિયા પરિવાર દ્વારા ‘નવનીત’ ના નામથી સોના-ચાંદીના આભુષણોના નિર્માણ અને વેચાણ ધરાવતો વ્યવસાય શરૂ થયાને 98મું વર્ષ ચાલી રહ્યું છે. ચાર પેઢીના ભાઇઓનો આ સંયુકત વ્યવસાય સ્થાપના વર્ષની સદી પૂરી કરવા જઇ રહ્યો છે. ત્યારે 98 મા વર્ષને યાદગાર બનાવવા ઈન્દીરા માર્ગ ઉપર વિશાળ જગ્યામાં આવેલી જવેલરી મોલરમાં રંગોળી સ્પર્ધા યોજવામાં આવી છે. મિંડાવાળી રંગોળી અને ફ્રી હેન્ડ રંગોળી એમ બે વિભાગમાં સ્પર્ધામાં કુલ મળી 98 ચિરોડીના રંગોની રંગોળી મોલના બેઝમેન્ટમાં બનાવવામાં આવશે. જેમાં શહેરના રંગોળીના નિષ્ણાંત કલાકાર ભાઈ-બહેનો ભાગ લઇ શકશે. ‘વહેલા તે પહેલાં’ના ધોરણે તા.19/10 પહેલાં સાંજના 6 થી 8 વાગ્યા સુધીમાં જ્વેલરી મોલના સ્થળે રૂબરૂ ફોર્મ મેળવી લેવાનું તેમજ પરત કરી જવાનું રહેશે. સ્પર્ધકે તા.21/10 ને શુક્રવારના સાંજના 5 થી 8 વાગ્યા દરમિયાન સ્થળ પર રંગોળી બનાવવાની રહેશે.
બન્ને વિભાગના ઉત્તમ પાંચ ક્રમના વિજેતાઓને કિંમતી ઈનામો એનાયત કરવામાં આવશે. જ્યારે સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને સ્મૃતિભેટ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. વધુ વિગતો માટે નવનીત જવેલરી મોલનો સંપર્ક સાધવા જણાવાયું છે.
જાહેર પ્રદર્શન
આ રંગોળી સ્પર્ધા જામનગર શહેરના કલાપ્રેમી નગરજનો પણ નિહાળી શકે તે માટે તા.22, 23 અને 24 ઓકટોબરના દિવસો દરમિયાન સવારના 11 થી રાત્રિના 11 વાગ્યા દરમિયાન રંગોળી પ્રદર્શન ખુલ્લું રહેશે.