બરડા ડુંગર પર બરડા અભ્યારણ્યમાં આવેલા કિલેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન શ્રધ્ધાળુઓને દર્શન માટે જવા શરતી મંજૂરી આપવામાં આવી છે. વનવિભાગ દ્વારા કોરોના ગાઇડલાઇનના પાલન તેમજ અન્ય શરતો સાથે મંદિરે જવાની છૂટ આપવામાં આવી છે. દર્શનાર્થીઓ સુર્યોદયથી સુર્યાસ્ત સુધી જ દર્શન માટે જઇ શકશે.
દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ રાજીબેન મોરીએ શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થીઓને કિલેશ્વર મહાદેવના મંદિરે જવાની મંજૂરી આપવા માટે વનવિભાગને રજૂઆત કરી હતી. જે રજૂઆતના અનુસંધાને રાજ્યના મુખ્ય વનસંરક્ષકએ શ્રધ્ધાળુઓને શ્રાવણ માસ દરમિયાન દર્શન માટે જવાની મંજૂરી આપી છે. કિલેશ્વર મહાદેવનું મંદિર બરડા અભ્યારણ્ય અંતર્ગત આવતું હોય દર્શનાર્થીઓ માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. જે અનુસાર દર્શનાર્થીઓ સુર્યોદયથી સુર્યાસ્ત સુધી જ દર્શન કરવા જઇ શકશે. મંદિર પરિસરમાં રાત્રી રોકાણ કરી શકશે નહી. ઉપરાંત વન્યજીવોની નૈસર્ગિક દિનચર્યામાં કોઇ ખલેલ પહોંચે નહીં તેની કાળજી રાખવાની રહેશે. નિયત કરાયેલા રસ્તેથી જ આવન-જાવન કરી શકાશે. જ્યારે કોવિડ-19ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.


