શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે જામનગર શહેરમાં ભવ્ય અને પરંપરાગત શોભાયાત્રા યોજાઈ હતી. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રા સમિતિ તથા વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નગરજનો જોડાયા હતા. સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
શોભાયાત્રાનો પ્રારંભ નૂતન ખીજડા મંદિર ખાતેથી ભગવાન શ્રીકૃષ્ણના પૂજન-અર્ચન સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જામનગરના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાનિક જનપ્રતિનિધિઓ, ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
View this post on Instagram
પરંપરાગત રૂટ પર નીકળી ભવ્ય શોભાયાત્રા
ખીજડા મંદિરથી પ્રસ્થાન કરેલી શોભાયાત્રા હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, વર્ધમાન ચોક, દરબારગઢ, ચાંદી બજાર, રણજિત રોડ અને પંચેશ્વર ટાવર થઈ પરત હવાઈ ચોકના માર્ગે ખીજડા મંદિર ખાતે પહોંચી હતી.
શોભાયાત્રાના સમગ્ર રૂટ પર નગરજનો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવામાં આવ્યા હતા. વિવિધ સ્થળોએ ભક્તો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
૨૦થી વધુ સ્થળોએ યોજાયા મટકી ફોડના કાર્યક્રમો
જન્માષ્ટમીની શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ મટકી ફોડના કાર્યક્રમો રહ્યા હતા. છેલ્લા ૨૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ શોભાયાત્રાના રૂટ પર ૨૦થી વધુ સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા.
યુવાનો અને શ્રદ્ધાળુઓમાં મટકી ફોડને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ સ્થળોએ ઢોલ-નગારા અને શ્રીકૃષ્ણના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
ઝાંખીઓ અને રોશનીથી શોભાયાત્રાની ભવ્યતા વધી
શોભાયાત્રામાં વિવિધ જ્ઞાતિઓ, ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનો દ્વારા આકર્ષક ફ્લોટ્સ અને ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. રંગબેરંગી રોશની અને સુંદર સજાવટથી શોભાયાત્રાની ભવ્યતામાં વધારો થયો હતો.
આ ભવ્ય શોભાયાત્રાની તૈયારીઓ છેલ્લા દોઢેક મહિનાથી કરવામાં આવી રહી હતી. વિવિધ સંસ્થાઓના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી મહેનત બાદ શોભાયાત્રા ભવ્ય રીતે સંપન્ન થઈ હતી.
મંદિરના મહંતશ્રી તથા શોભાયાત્રાના અગ્રણીઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ કાર્યકરો, સંસ્થાઓ અને નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ જામનગર સહિત સમગ્ર દેશવાસીઓને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.


