જામજોધપુર ગામમાં હાથ ઉછીના લીધેલા રૂપિયા આપી દીધાં હોવા છતાં રૂપિયાની વારંવાર ઉઘરાણી કરી યુવાન ઉપર ત્રણ શખ્સો દ્વારા લાકડી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી, છરીના ઘા ઝિંકયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની મળેલી વિગત મુજબ જામજોધપુર ગામમાં રબારીપાડામાં રહેતાં અને ગેરજ ચલાવતો રીયાઝ ઉર્ફે રીઝવાન હુશેનભાઇ બલોચ (ઉ.વ.31) નામના યુવાને આશરે છ માસ પહેલાં પુષ્પરાજસિંહ પાસેથી રૂા. 10 હજાર ઉછીના લીધાં હતાં. જે રકમ ચૂકવી દીધી હોવા છતાં પુષ્પરાજસિંહ દ્વારા રૂપિયાની અવારનવાર ઉઘરાણી કરી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. દરમિયાન સોમવારે સવારે રીયાઝ બાઇક પર તેના ઘરે જતો હતો ત્યારે પુષ્પરાજસિંહ, સત્યજિતસિંહ, પાર્થરાજસિંહ ઉર્ફે લાલો નામના ત્રણ શખ્સોએ સ્વિફ્ટ કારમાં આવી રૂપિયાની ઉઘરાણી કરી લાકડી અને લોખંડના પાઇપ વડે રીયાઝ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ પુષ્પરાજે છરીનો ઘા ઝિંકયો હતો. ત્રણ શખ્સો દદ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા રિયાઝને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવના જાણના આધારે પીએસઆઇ એમ. એલ. ઓડેદરા તથા સ્ટાફએ ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


