જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલા કામડિયાવાસમાં પુઠા ભરવા બાબતે થયેલી બોલાચાલીમાં બે પરિવારો દ્વારા સામસામા હુમલા કરી ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બન્ને પરિવારની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ શહેરના શંકર ટેકરી દિ. પ્લોટ 49માં આવેલા કામડિયાવાસમાં રહેતાં વિજય માલજીભાઇ વાઘેલા નામના યુવાનને પ્રવીણ પરમાર સાથે પુઠા ભરવાની બાબતે થયેલી બોલાચાલી બાદ વિજયના ભત્રીજા સાથે શિવા પરમારે ઝઘડો કરતાં વિજય તથા તેના પરિવારજનો પાણાખાણના નાકે સમજાવવા જતાં પ્રવીણ ચના પરમાર, શિવા ચના પરમાર, દેવાંગ રામજી પરમાર, વિજય ચના પરમાર નામના ચાર શખ્સોએ એકસંપ કરી વિજય તથા તેના પરિવારના સભ્યો સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. તેમજ દિનેશ કાનજી વાઘેલા ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
જ્યારે સામાપક્ષે પ્રવીણ ચના પરમાર ઉપર વિજય માલજી વાઘેલા, વિજય ડાયા વાઘેલા, વિશાલ નાથા વાઘેલા, દિનેશ કાનજી વાઘેલા નામના ચાર શખ્સોએ એકસંપ કરી પ્રવીણ તથા તેના ભાઇઓ સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. બનાવમાં વિજય માલજી વાઘેલા દ્વારા ચાર શખ્સો વિરૂદ્ધ અને સામાપક્ષે પ્રવીણ ચના પરમાર દ્વારા ચાર શખ્સો વિરૂદ્ધ સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધી હે.કો. એચ.કે.પરમાર તથા સ્ટાફએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


