લાલપુર તાલુકાના આરીખાણા ગામમાં રહેતાં યુવાનના ઘર પાછળ આવેલી નદીમાંથી થતી રેતીચોરી ખાણ ખનિજ દ્વારા ઝડપી લેવાની બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાનનું અપહરણ કરી ખેતરે લઇ જઇ ઝાડ સાથે બાંધી પાઇપ અને એરગનના બટ વડે માર મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરીખાણા ગામમાં રહેતાં અને ખેતી કરતાં હરેશભાઇ નારણભાઇ સોજિત્રા (ઉ.વ.45) નામના યુવાનના ઘર પાસે આવેલી નદીમાંથી મેમાણા ગામના શખ્સો રેતીચોરી કરતાં હતાં. એક સપ્તાહ પૂર્વે ખાણ ખનિજ વિભાગ દ્વારા રેતી ચોરી સ્થળે રેઇડ કરી દંડાત્મક કાર્યવાહી કરી હતી. આ બાબતનો ખાર રાખી ગત્ તા. 04ના રોજ બપોરના સમયે આરીખાણા ગામની સીમમાં કિશનભાઇ વૈષ્ણવની વાડીએ હરેશભાઇને બોલાવ્યા હતા. જ્યાંથી બળદેવસિંહ મેમાણા, સુખુભા, ઋતુભા અને બળદેવસિંહનો પુત્ર સહિતના ચાર શખ્સોએ હરેશભાઇનું કાળા કલરની કારમાં અપહરણ કરી બળદેવસિંહના ખેતરે લઇ ગયા હતા. જ્યાં ઝાડ સાથે બાંધી અને પાઇપ તથા એરગનના બટ વડે આડેધડ માર માર્યો હતો. ચાર શખ્સો દ્વારા આડેધડ કરાયેલા હુમલામાં યુવાન ઘવાયો હતો. ત્યારબાદ પોલીસ ફરિયાદ કરીશ તો, મારી નાખવાની ધમકી આપી હતી.
બાદમાં મુક્ત થયેલા હરેશભાઇએ આ બનાવ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઇ એસ. પી. ગોહિલ તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂદ્ધ અપહરણ, હુમલો તથા ધમકી આપવા અંગેનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.


