જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામના વતની યુવાને દંપતિ વચ્ચે કામકાજઅર્થે રાજકોટ જતાં રહેવાની બાબતે થયેલા ઝઘડાનું મનમાં લાગી આવતા પતિએ ચાદર વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત પ્રમાણે જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામનો વતની અને હાલ રાજકોટમાં મોટા મવા ગામમાં રંગોલી સોસાયટી વિસ્તારમાં રહીને ડ્રાઇવિંગ કરતો ભાવેશભાઇ રાજુભાઇ વાઘ (ઉ.વ.25) નામના યુવાન અને તેની પત્ની ચંદ્રિકાબેન વચ્ચે રાજકોટમાં કામકાજઅર્થે જવા તથા રહેવાની બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બાબતનું મનમાં લાગી આવતા ભાવેશે રવિવારે બપોરના સમયે મોટા વડિયા ગામમાં તેના ઘરે છતના હૂકમાં ચાદર વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પત્ની દ્વારા જાણ કરાતાં એએસઆઇ એલ. આર. ચાવડા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની પત્નીના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.


