Tuesday, June 30, 2026
Homeવિડિઓભાણવડમાં રૂ. 11.14 લાખની ઘરફોડ ચોરીમાં ત્રણની ધરપકડ - VIDEO

ભાણવડમાં રૂ. 11.14 લાખની ઘરફોડ ચોરીમાં ત્રણની ધરપકડ – VIDEO

શનિવારે રાત્રે સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી : તસ્કરો 11.14 લાખની માલમત્તા ઉસેડી ગયા : ભાણવડ પોલીસે ચોરાઉ મુદામાલ સાથે તસ્કર ત્રિપુટીને દબોચી

ભાણવડ વિસ્તારમાં રહેતા સગર યુવાનના રહેણાંક મકાનમાં ગત શનિવારે થયેલી ઘરફોડ ચોરીમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 11.14 લાખનો મુદ્દામાલ ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ ચોરીને અનુલક્ષીને પોલીસ દ્વારા કરવામાં આવેલી તાકીદની કાર્યવાહીમાં પોલીસે ત્રણ સ્થાનિક શખ્સોને દબોચી લઈ, તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી એવા આ ચોરી પ્રકરણની વિગત મુજબ ભાણવડથી આશરે 8 કિલોમીટર દૂર જામ રોજીવાડા ગામની સીમમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ગંગદાસભાઈ માલદેભાઈ સોલંકી નામના 46 વર્ષના સગર યુવાન દંપતી તેમજ તેમના પરિવારના અન્ય સભ્યોએ અગાઉ નક્કી કર્યા મુજબ શનિવાર તા. 27 મીના રોજ સવારના આશરે 7 વાગ્યાના સમયે દ્વારકાધીશ મંદિર ખાતે દર્શન કરવા નીકળ્યા હતા.

- Advertisement -

આ પછી તેઓ શનિવારે મોડી સાંજના સમયે પરત ફર્યા, ત્યારે તેમના ઘરના ઓસરી તથા રૂમમાં મારેલા તાળા તૂટેલા જોવા મળ્યા હતા અને ઘરનો સામાન વેર વિખેર હોવાથી આ સ્થળે તસ્કરોએ ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું હતું. આ ઘરફોડ ચોરીમાં તસ્કરો કબાટમાંથી સોના, ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 11 લાખ 14 હજારનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

આ સમગ્ર પ્રકરણને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ડીવાયએસપી મીત રુદલાલના વડપણ હેઠળ ભાણવડના પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ તેમની ટીમ દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને તસ્કરો અને ઝડપી લેવા માટે ખાસ ટીમ મારફતે તપાસ આરંભી હતી. તપાસના અંતે આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપી એવા જામ રોજીવાડા ગામના રહીશ મિલન કરશનભાઈ સોલંકી (ઉ.વ. 27), ભાવેશ કરસનભાઈ સોલંકી (ઉ.વ. 22, રહે. હાલ રાજકોટ) અને રવિ ડાયાભાઈ સોલંકી (ઉ.વ. 21) નામના ત્રણ શખ્સોને દબોચી લીધા હતા.

- Advertisement -

ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે ચોરીનો રૂ. 11 લાખ 14 હજારનો તમામ મુદ્દામાલ તેમજ રૂ. 45,000ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 11,59,000નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી. આરોપીઓએ એક સંપ કરી અને ફરિયાદી સગર પરિવારજનો બહારગામ ગયા હોવાથી પાછળથી હાથ ફેરો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

આ સમગ્ર કાર્યવાહી ભાણવડના પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ સ્ટાફના નારણભાઈ બેલા, જીતુભાઈ જામ, કિશોરસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા, લાલાભાઇ ખાટલીયા, દિવ્યરાજસિંહ જાડેજા, દુદાભાઈ સુવા, મયુરસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ રાણા, મહીદિપસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા અને પુંજાભાઈ વારોતરીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular