જામનગર મહાનગરપાલિકાની ચુંટણીને લઇ જામનગરમાં રાજકીય પક્ષો દ્વારા ચુંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગઇકાલે ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા જામનગરના પ્રવાસે આવ્યા હતાં. જામનગર ખાતે શહેર તથા જિલ્લાનું સામાજીક સંમેલન સહિતના આયોજનો થયા હતાં. જેમાં ભાજપાના ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો માહોલ છવાયો છે. ચુંટણીને લઇ રાજકીય પક્ષો અને ઉમેદવારો પ્રચાર પ્રસારમાં લાગી ચુકયા છે. ગઇકાલે ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા જામનગર તથા દ્વારકાના પ્રવાસે આવ્યા હતાં. સવારે ખંભાળિયા અને ભાટીયા ખાતે સંમેલન યોજાયા બાદ તેઓ જામનગરમાં પધાર્યા હતાં. બપોરે 5 વાગ્યે લાલપુર બાયપાસ સમાણા રોડ વી.ડી.બી. પાર્ટી પ્લોટ ખાતે જામનગર જિલ્લા ભાજપ દ્વારા જન સમર્થન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગરની એક જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાની બેઠકો માટે સંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં ઉમેદવારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ સંમેલનમાં પ્રદેશ ભાજપ અઘ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માએ પોતાનું વકતવ્ય શરૂ કરતા પહેલા સાંસદ પૂનમબેન માડમ અને પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલના વખાણ કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું. કે રાઘવજીભાઇ પટેલ બીમાર હતાં ત્યારે વિધાનસભામાં જવા તૈયાર હતાં.
View this post on Instagram
ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ રોજગારી મુદ્દે વાત કરે છે તેને આ ઇન્ડસ્ટ્રીઝઓ નહીં દેખાતી હોય ભાજપામાં કોઇ માત્ર ચુંટણી વખતે જ દેખાઇ તેવા નથી કોંગ્રેસમાં એવા લોકો છે જે માત્ર ચુંટણી વખતે દેખાઇ છે. વડાપ્રધાનની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે અન્ય રાજ્યોમાં પણ વડાપ્રધાનને ભગવાનની જેમ પુજી રહ્યા છે. કોંગ્રેસના સમયમાં સૌરાષ્ટ્રમાં પાણીના ટેન્કરો આવતા મહિલાઓને બેડા લઇ પાણી ભરવા જવું પડતુ અત્યારે દેશની સ્થિતી બદલાઇ છે. મહિલાઓને પાણીની લાઇનોમાં ઉભુ નથી પડતુ તે ભાજપાએ કર્યુ છે. કોંગ્રેસ પોતાના ઉમેદવારોને તિજોરીમાં સાચવે તેમ સાચવે છે ભાજપાના 300થી વધુ જગ્યાએ ઉમેદવારો બીનહરીફ થયા છે. તેમણે મહિલા અનામત બીલ અંગે પણ ચર્ચા કરી હતી. જામનગર ગ્લોબલ હબ બન્યુ છે. આયુર્વેદ દ્વારા ડબલ્યુએચઓનું સેન્ટર જામનગરમાં છે. પંજાબના કેટલાક લોકો આવે છે અને ખેડૂતો વિશે વાત કરી તેમણે આમઆદમી પાર્ટી ઉપર પણ નિશાન સાઘ્યુ હતું. કોંગ્રેસના કૌભાંડો વિશે વાત કરી ભાજપાની વિવિધ યોજનાઓ અંગે પણ વાતો કરી હતી.
જામનગર શહેર અને જિલ્લાના સંમેલનોમાં ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઇ ભંડેરી, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, પ્રભારી ધનસુખભાઇ ભંડેરી, પૂર્વ મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, પૂર્વ ધારાસભ્ય ચીમનભાઇ શાપરીયા, ચીરાગભાઇ કાલરીયા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઇ દવે, ભાવેશભાઇ ઠુમ્મર, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ મેયરો, મનહરભાઇ ઝાલા, હસમુખભાઇ જેઠવા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખો ડો.વિમલભાઇ કગથરા, હસમુખભાઇ હિંડોચા, અશોકભાઇ નંદા, હિતેનભાઇ ભટ્ટ, મુકેશભાઇ દાસાણી, નિલેશભાઇ ઉદાણી સહિતના શહેર અને જિલ્લાના મહાનુભાવો બન્ને સભાઓમાં ઉપસ્થિત રહ્યા હતાં. તમામ ચુંટણીના ઉમેદવારો, કાર્યકરો, હોદેદારો, પૂર્વ કોર્પોરેટરો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.


