જામનગર શહેરના વંડાફળી વિસ્તારમાં આવેલા આદિનાથ રેસિડેન્સીમાં પાંચમા માળે રહેતાં યુવાન ઉપર આજે સવારે પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના ભાઇ સહિતના બે શખ્સોએ ઘરમાં ઘૂસી આડેધડ છરીના ઘા ઝિંકી જીવલેણ હુમલો કરતાં યુવાન લોહીથી લથબથ હાલતમાં ઢળી પડયો હતો. ત્યારબાદ યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું મોત નિપજતા હત્યાના બનાવ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની જાણ મુજબ જામનગર શહેરમાં આવેલી વંડાફળી વિસ્તારના આદિનાથ રેસિડેન્સીમાં પાંચમા માળે ફલેટ નંબર 502માં રહેતા નિલય અશોકકુમાર કુંડલિયા નામનો યુવાન આજે સવારે તેના ફલેટમાં હતો ત્યારે બે શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા અને યુવાન ઉપર આડેધડ છરીના ઘા ઝિંકયા હતા. નિલય ઉપર છરી વડે જીવલેણ હુમલો થતાં યુવાન લોહીથી લથબથ હાલતમાં ઘરમાં જ ઢળી પડયો હતો. પુત્ર ઉપર હુમલો થતાં માતાના આક્રંદથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તે પહેલાં હુમલાખોરો ગણતરીની મિનિટોમાં જ પલાયન થઇ ગયા હતા. ત્યારબાદ બેશુદ્ધ થઇ ગયેલા નિલયને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલાં જ નિલયનું મોત નિપજતા હત્યાના બનાવ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
વધુમાં મળતી વિગત મુજબ હુમલાનો ભોગ બનનાર નિલય કુંડલિયાએ થોડા સમય પહેલાં જ પ્રેમલગ્ન કર્યા હતા. તેના ઉપર હુમલો પણ આ પ્રેમલગ્નના ખારમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. યુવાન ઉપર હુમલો યુવતીના ભાઇ સહિતના બે શખ્સો દ્વારા કરવામાં આવ્યો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે. જો કે, પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી હતી.


