ધ્રોલ તાલુકાના રોજિયા ગામની સીમમાં ખેતમજૂરી કરતાં યુવકને તેની પત્ની સાથે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પતિના મૃતદેહને જોઇ પત્નીએ પતિની પાછળ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યાના બનાવથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
આ બનાવ અંગેની વિગત મુજબ ધ્રોલ તાલુકાના રોજિયા ગામની સીમમાં આવેલી લગધીરસિંહ જાડેજાના ખેતરમાં મજૂરીકામ કરતાં ગોરધન વાસુનિયા (ઉ.વ.20) નામના યુવકને ગત્ તા. 30ના રોજ રાત્રિના સમયે તેની પત્ની રાહલીબેન સાથે કોઇ બાબતે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીનું મનમાં લાગી આવતા ગોરધનભાઇએ વાડીના ગોડાઉનમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ બનાવની જાણ થતાં યુવકની પત્ની સહિતના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યાં પત્ની રાહલીબેનએ પતિ ગોરધનનો મૃતદેહ લટકતો જોતા મનમાં આઘાત લાગી આવતાં ગભરાઇ ગયેલી પત્નીએ વાડીના કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.
યુવતીના આપઘાત પૂર્વે પતિના મોત બાદ પત્નિ ચાલી જતાં ગુમ થયાની નોંધ પણ પોલીસમાં પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ યુવતીની શોધખોળ બાદ કૂવાના પાણીમાંથી રાહલીબેનનો મૃતદેહ મળી આવતાં ચિરલિયા ભાગડાભાઇ દ્વારા જાણ કરાતા પી.આઇ. એચ. વી. રાઠોડ તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.


