દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાં રહેતી મહિલાને તેણીના પતિ સાથે જમવાની બાબતે થયેલી બોલાચાલી અને ઝઘડા બાદ મનમાં લાગી આવતા મહિલાએ દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામમાં વાડી વિસ્તારમાં રહેતાં યુવાને પગના દુ:ખાવાથી કંટાળી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાં જૂની કોર્ટ પાસે આવેલા રાવલપાડા વિસ્તારમાં રહેતાં સરોજબેન હિરાભાઈ પરમાર (ઉ.વ.30) નામની મહિલાને તેણીના પતિ હિરાભાઈ સાથે જમવાની બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડાનું મનમાં લાગી આવતા સરોજબેને હાથે દિવાસળી ચાંપી કોથળી સળગાવી પોતાના શરીર ઉપર નાખી દેતા ગંભીર રીતે દાઝી ગયા હતાં ત્યારબાદ મહિલાને સારવાર માટે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે પોલીસે મહિલાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામના વાડી વિસ્તારમાં રહેતાં રામભાઈ ભગતભાઈ ઓડેદરા (ઉ.વ.27) નામના મેર યુવાને તેના પગમાં ફેકટર થવાથી થોડા દિવસ અગાઉ ઓપરેશન કરાવ્યું હતું. પગના ઓપરેશન બાદ સતત દુ:ખાવો રહેતો હતો. જેના કારણે યુવાનને ખોટા વિચારો આવતા હતાં. આવી પરિસ્થિતિમાં રામભાઈએ તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પોલીસે રામભાઈનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


