જામનગર શહેરમાં ગઇકાલે 3 અને જિલ્લામાં એક સહિત કોરોનાના માત્ર 4 કેસ નોંધાતા થોડી રાહત સામે આવી છે. અત્યાર સુધીમાં જામનગરમાં કુલ 119 અને ગ્રામ્યમાં કુલ 11 કેસ નોંધાયા છે.
જામનગર સહિત દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે જામનગરમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસો ઓછા આવતા થોડી રાહત મળી છે. જામનગર મહાનગર પાલિકા દ્વારા ગઇકાલે જામનગર શહેરમાં નવા 3 કેસ નોંધાયા છે. જેમાં જામનગરના ગર્વમેન્ટ કોલોનીમાં 20 વર્ષનો યુવાન, માધવબાગ-1માં 37 વર્ષનો યુવાન તથા સત્યમ કોલોનીમાં 70 વર્ષના વૃધ્ધાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ગઇકાલે જામનગર શહેરમાં 11 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેમજ એક દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 119 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં કુલ 80 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે.
જામનગર શહેર ઉપરાંત જામનગર ગ્રામ્યમાં પણ ગઇકાલે નવો એક કેસ નોંધાયો હતો. લાખાબાવળના 41 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 11 કેસ નોંધાયા છે. હાલમાં પાંચ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. જયારે છ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે.


