Friday, October 18, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા નજીકથી ક્રૂરતાપૂર્વક લઈ જવાતા પાંચ પશુઓ ઝબ્બે

ખંભાળિયા નજીકથી ક્રૂરતાપૂર્વક લઈ જવાતા પાંચ પશુઓ ઝબ્બે

પશુ સેવક દ્વારા જેતપુરના બે શખ્સો સામે ફરિયાદ : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

- Advertisement -

ખંભાળિયા નજીકના પોરબંદર માર્ગમાંથી ગત સાંજે પસાર થઈ રહેલા અહીંના એક પશુ સેવા સંસ્થાના સક્રિય કાર્યકર દ્વારા એક બોલેરો પીકઅપ વાહનને અટકાવી, તેમાં જોતા આ વાહનમાં બેરહેમી પૂર્વક પાંચ અબોલ પશુઓને લઈ જવાતા હોવાનું ખુલવા પામ્યું હતું. જે અંગે પશુ સંસ્થાના દેશુરભાઈ ધમા દ્વારા જેતપુર – નવાગઢ વિસ્તારના બે શખ્સોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે, ખંભાળિયા માં રહેતા અને અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર સંસ્થામાં છેલ્લા સાતેક વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા દેસુરભાઈ ગગુભાઈ ધમા નામના યુવાન ગઈકાલે મંગળવારે પોતાના પશુ એમ્બ્યુલન્સ લઈને કોલવા ગામ ખાતે પશુની સેવા કરવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન ખંભાળિયાની પાયલ હોટલ પાસેના રેલવે ફાટક પહોંચતા તેમના વાહનની આગળ જઈ રહેલી એક બોલેરો જી.જે. 03 બી.ડબલ્યુ. 7613 નંબરની બોલેરો પીક અપ વાહનમાં કેટલાક પશુઓને ખીચોખીચ રીતે લઈ જવામાં આવતા હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. આથી દેશુરભાઈ તેમજ અન્ય કાર્યકરઓએ આ બોલેરોને અટકાવી તેમાં ચેકિંગ કરતા તેમાં ચાર નાના પાડા તેમજ એક પાડી એમ કુલ પાંચ પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધી, અને પાણી તથા ચારાની કોઈપણ પ્રકારની વ્યવસ્થા વગર અને આ પશુઓ બોલેરોમાં હલનચલન કરી ન શકે તેવી રીતે ટૂંકા દોરડા વડે બાંધીને લઈ જવાતા હોવાનું ખુલવા પામ્યું હતું.

આ પછી વાહનના ચાલક તેમજ તેની સાથે રહેલા શખ્સને ઉતારીને તેઓની પૂછપરછ કરતા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં રહેતા સોહિલ અમીનભાઈ લાખાણી અને ઇમરાન યુસુફ અન્સારી નામના આ બંને શખ્સો પાસે કોઈપણ પ્રકારના આધાર પુરાવા ન હતા.

- Advertisement -

તેઓની પૂછપરછમાં આ શખ્સો ઉપરોક્ત પશુઓને ખંભાળિયા તાલુકાના બેરાજા ગામેથી અલગ અલગ જગ્યાએથી માલિકો પાસેથી લઈ અને જુનાગઢ ખાતે સક્કર બાગમાં આપવા જતા હોવાનું જણાવ્યું છે. આ સમગ્ર પ્રકરણ અંગે દેશુરભાઈ ધમાની ફરિયાદ પરથી બોલેરો સવાર સોહિલ લાખાણી તથા ઈમરાન અન્સારી દ્વારા પોતાના બોલેરોમાં પાંચ પશુઓને ખીચોખીચ અને હલીચલી ન શકે તેમજ પાણી અને ચારાની વ્યવસ્થા વગર ક્રૂરતાપૂર્વક લઈ જવા અંગેની ફરિયાદ અરજી અહીંની પોલીસને કરવામાં આવી છે. જે અંગે પોલીસે પશુઓ પ્રત્યે ક્રૂરતાના અધિનિયમ સહિતની વિવિધ કલમ હેઠળ જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી. આ પશુઓને અહીંની ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular