જામનગર શહેરમાં જુના રેલવે સ્ટેશનની જર્જરીત ઇમારત સંભવિત બિપોરજોય વાવાઝોડા દરમિયાન કોઇ ગંભીર અકસ્માત ન સર્જે તે માટે જામ્યુકોના તંત્રએ રેલવેની સહમતિ અને રેલવે તંત્રને સાથે રાખી ઇમારતનું ડિમોલિશન શરુ કર્યું છે.
1984માં નવુ રેલવે સ્ટેશન અસ્તિત્વમાં આવ્યા બાદ ત્યારથી ન ધણિયાતું પડેલું જુનુ રેલવે સ્ટેશન સમય જતાં જર્જરીત, જોખમી અને ન્યુસન્સ ફેલાવનારું બની રહ્યું હતું. આ ઇમારતના ઉપયોગનો કોઇ નિવેડો નહીં આવતાં આખરે
જામ્યુકોના તંત્ર દ્વારા આશરે 40 વર્ષથી જર્જરીત બનેલી આ ઇમારત વાવાઝોડા દરમિયાન કોઇ ગંભીર અકસ્માત નોતરે તે પહેલાં જ તેને તોડી પાડવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જામ્યુકોના ડે. કમિશનર અને સીટી ઇજનેર ભાવેશ જાનીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની તિવ્રતાને ધ્યાને લઇ સલામતિના કારણોસર રેલવે તંત્ર સાથે વાત કરીને જર્જરીત ઇમારત દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઘણાં લાંબાસમયથી જુના રેલવે સ્ટેશનની આ ઇમારત સદ્ંતર ભંગાર હાલતમાં ફેરવાઇ ગઇ હતી. અહીં અનેક પ્રકારના ન્યુસન્સ અને દબાણો થઇ રહ્યા હતાં. જે શહેરના હિતમાં રહ્યાં નથી. પોલીસ અને રેલવે તંત્ર દ્વારા અવાર-નવાર અહીં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. પરંતુ ગણતરીની કલાકોમાં અહીં ફરીથી ઝુંપડાઓનું ન્યુસન્સ ગોઠવાઇ જાય છે. એટલું જ નહીં આ ઇમારતમાંથી રેલવેનો કિંમતી ભંગાર પણ ચોરાઇ ગયો છે. જ્યારે ઇમારતની અઘોચર જગ્યા અસામાજિક તત્વોના અડ્ડા સમાન બની ગઇ હતી. ત્યારે આ જર્જરીત ઇમારત દૂર કરવાનો જામ્યુકોનો નિર્ણય આવકારદાયક બન્યો છે. સાથે-સાથે રેલવે માટે બિનઉપયોગી બનેલી આ જગ્યાનો કબજો જામ્યુકોને સોંપવા પણ નેતાગીરી ગંભીર પ્રયાસો હાથ ધરે તે જરુરી છે.