જામનગરમાં ચોમાસા પહેલા કોર્પોરેશન દ્વારા જર્જરિત ઈમારતોનો સર્વે શરૂ કરાયો છે. તંત્રની પ્રિમોન્સુન એક્ટિવીટી અંતર્ગત કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા અને એસ્ટેટ શાખા દ્વારા જર્જરિત ઈમારતોનો સર્વે થોડા દિવસથી ચાલી રહ્યો છે. કોર્પોરેશનની ટીપીઓ અને સીવીલ શાખા દ્વારા શહેરના 16 વોર્ડમાં જર્જરિત ઈમારતોનો સર્વે કરવા માટે બે-બે ઈજનેરોની કુલ 6 ટીમોને કાર્યરત કરાઇ છે.
આ ટીમો દ્વારા તંત્રના લીસ્ટમાં રહેલી જર્જરિત ઈમારતોની પણ ચકાસણી થઇ રહી છે. તંત્રની ટીમોનો આ સર્વે આગામી તા. 20 સુધી ચાલુ રહેશે. આ દરમિયાન કોર્પોરેશનની ટીપીઓ શાખા દ્વારા રાજકોટ ખાતે બેસતા હાઉસીંગ બોર્ડના કાર્યપાલક ઈજનેરને પણ હા. બો. દ્વારા બનાવવામાં આવેલી કોલોનીઓના જર્જરિત મકાનો અંગે નોટીસ અપાયા બાદ હાઉસીંગ બોર્ડએ પણ તાજેતરમાં શહેરની સાધના કોલોની, રણજીતનગર કલોની, શાસ્ત્રીનગર કોલોની, કોટનમીલ કોલોની, હર્ષદમીલ કોલોની, ખોડીયાર કોલોની, લાખોટા મીગ કોલોનીમાં આવેલા મકાનો-બ્લોકો પ્રાથમિક દ્રષ્ટીએ જર્જરિત જણાતા મકાનોનો વપરાશ બંધ કરવા નોટીસ જાહેર કરી છે. હાઉસીંગ બોર્ડની કોલોનીમાં જર્જરિત જણાતા મકાનોમાં નોટીસ છતાં પણ વસવાટ બંધ કરવામાં નહીં આવે તેમજ રહેણાંક આવાસમાં અનઅધિકૃત કોમર્શિયલ વપરાશથી કોઈ અનિચ્છીનીય બનાવ બનશે, તો તે અંગેની જે તે રહેવાસીની અંગત જવાબદારી રહેશે. તેમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ કે સરકારની કોઈ જવાબદારી રહેશે નહિ.
View this post on Instagram
કોર્પોરેશનના ટીપીઓના અધિકારીએ જણાવ્યું કે, માલિકીની હોય કે, ભાડુતી પરંતુ મિલ્કતોના ધારણકર્તાઓને તંત્ર જર્જરિત ઈમારતો કે તેના હિસ્સાની દુરસ્તીની ચેતવણી આપે પછી તે દુરસ્ત થયા છે કે નહીં તેના ઈજનેર પાસેથી સર્ટીકેટ મેળવીને તંત્રને આપે એટલે તેને જર્જરિત ઈમારતના લીસ્ટમાંથી દુર કરાય છે.


