જામનગર તાલુકાના સિકકા ગામમાં રહેતી તરૂણી તેના ઘરે ચુલા ઉપર જમવાનું બનાવતી હતી ત્યારે અગ્નિ પેટાવવા જતાં આગની ઝાળ પહેરેલા કપડાંમાં લાગી જતાં ગંભીર રીતે દાઝી જવાથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના સિકકા ગામમાં નાઝ સિનેમા પાછળના વિસ્તારમાં રહેતા દાઉદભાઇ ઉંમરભાઇ ભાયા નામના આધેડની પુત્રી આયેશાબેન દાઉદભાઇ ભાયા (ઉ.વ.16) નામની તરૂણી ગુરૂવારે વહેલી સવારના સમયે તેણીના ઘરે જમવાનું બનાવતી હતી. તે માટે ચુલામાં અગ્નિ પેટાવવા જતાં આગની ઝાળ શરીરે પહેરેલા કપડાંમાં લાગી જવાથી ગળાથી પગના ઘુંટણ સુધી ગંભીર રીતે દાઝી ગઇ હતી. ત્યારબાદ તરૂણીને ગંભીર હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની હાલત વધુ નાજૂક જણાતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તરૂણીનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા દાઉદભાઇ દ્વારા જાણ કરવામાં આવતા હે.કો. એમ. પી. સિંધવ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.