ખંભાળિયા – જામનગર માર્ગ પર મંગળવારે સાંજના સમયે એક મોટરસાયકલ આડે આખલો ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા જીતેન્દ્રસિંહ સજુભા જાડેજા નાના 21 વર્ષના યુવાન મંગળવારે સાંજના સમયે તેમના જીજે 37 પી. 1369 નંબરના હોન્ડા સાઈન મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. તેમની સાથે ભાતેલ ગામના અન્ય એક યુવાન જયવીરસિંહ જુવાનસિંહ જાડેજા પણ જઈ રહ્યા હતા.
ડબલ સવારી આ મોટરસાયકલ અત્રેથી આશરે 17 કિલોમીટર દૂર જામનગર માર્ગ પર આવેલા દેવળિયા ગામના પાટીયા પાસે સ્થિત એક કંપનીના ગેઈટ નજીક પહોંચતા આ મોટરસાયકલ આડે એકાએક આખલો ઉતાર્યો હતો. જેના કારણે ઉપરોક્ત મોટર સાયકલ આખલા સાથે ધડાકાભેર ટકરાયું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલક જીતેન્દ્રસિંહ સજુભા જાડેજાને શરીરના જુદા-જુદા ભાગોમાં જીવલેણ ઇજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે તેમની સાથે જઈ રહેલા જયવીરસિંહને પણ ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે કુલદીપસિંહ જુવાનસિંહ જાડેજાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મોટરસાયકલ ચાલક જીતેન્દ્રસિંહ સજુભા સામે પોતાનું બાઈક ૂરડપે અને ગફલતભરી રીતે ચલાવી, અકસ્માત સર્જવા સબબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પીએસઆઈ ડી.જી. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.