જામનગરમાં વરસાદ ખેંચાતા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી-૩, ઊંડ-૧ અને સસોઈ ડેમોમાં માત્ર આ માસ ના અંત સુધી એટલેકે આગામી દસ દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો બાકી રહ્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી કરતાં “સૌની યોજના” મારફતે મચ્છુ-૨ ડેમમાંથી આજી-૩ ડેમમાં પાણી ઠાલવવાનું ગઈકાલથી શરૂ કરાવ્યું છે, જેના કારણે શહેર પર મંડરાતું જળસંકટ હળવું થવાની આશા જાગી છે.
જામનગર મહાનગરપાલિકાએ શહેરની આશરે સાત લાખની વસ્તીને પીવાનું પાણી નિયમિત મળી રહે તે માટે રાજ્ય સરકાર સમક્ષ કુલ ૫૫૦ એમસીએફટી પાણીની માંગણી કરી હતી. તેમાં આજી-૩ ડેમ માટે ૨૦૦ એમસીએફટી, ઊંડ-૧ ડેમ માટે ૨૦૦ એમસીએફટી અને સસોઈ ડેમ માટે ૧૫૦ એમસીએફટી પાણીની માંગ કરવામાં આવી છે. રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં મચ્છુ-૨ ડેમમાંથી આજી-૩ ડેમમાં પાણી છોડવાનું શરૂ કર્યું છે, જ્યારે આગામી દિવસોમાં સરકારના શેડ્યૂલ મુજબ અન્ય ડેમોમાં પણ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે, તેમ જામનગર મહાનગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગના અધિકારી નરેશ પટેલે જણાવ્યું છે.
View this post on Instagram


