
આજના સમયમાં મનની શાંતિ એ સૌથી મોટી કમાણી છે. દિવસ રાત મહેનત કરી નાણા કમાવા છતાં પણ મનની શાંતિ મળતી નથી ત્યારે એક યુવાન મનની શાંતિ માટે ભારતભ્રમણ અર્થે નીકળી પડ્યો છે.દેશભરના 51 હનુમાન મંદિરની યાત્રા કરવા માટે યુપીનો યુવાન સાયકલ યાત્રાએ નિકળ્યો છે. ઉત્તરપ્રદેશનો એક યુવાન દેશભરમા હનુમાન મંદિરના દર્શન કરશે. જે હાલ 1700 કિલોમીટરની સફર કાપીને જામનગર પહોંચ્યો છે. જે જામનગરના વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિરના દર્શન કરશે. ત્યારબાદ દ્વારકા, સોમનાથ દર્શન કરશે.
યુપીના બુલંદ શહેર ખાતે રહેતા અને સાયકલ યાત્રાએ નીકળેલા ઉપેન્દ્રસિંહ નામના યુવાને જણાવ્યું કે તેઓએ 1 ડિસેમ્બર 2024 ના રોજ હનુમાન દાદા 51 ધામની યાત્રા શરૂ કરી છે. આ યાત્રા લગભગ બે વર્ષ સુધી ચાલશે. અંદાજે 1700 કિલોમીટરની સફર પૂર્ણ કરી આ યુવાન જામનગર પહોંચ્યો છે અને જામનગરમાં તે બાલા હનુમાન મંદિર ના દર્શન કરશે. વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિરે શીશ ઝૂકાવ્યા બાદ તે જામનગરની મુલાકાત લેશે.
ત્યારબાદ જામનગરથી દ્વારકા અને બેટ દ્વારકા જ્યાં પ્રખ્યાત દાંડી હનુમાન મંદિર તેમજ સોમનાથ અને સાળંગપુર થઈ એમપી જવા રવાના થશે. તેઓએ જણાવ્યું કે 14 વર્ષ સુધી તેમણે જુદા-જુદા મીડિયા ફિલ્ડમાં નોકરી કરી હતી.જેને લઇને રૂપિયા અને મિલકત વસાવી લીધી હતી. પરંતુ તેઓએ કહ્યું કે 14 વર્ષ નોકરી કર્યા બાદ પણ મનની શાંતિ મળી ન હતી આથી હું નોકરી છોડી હવે મનની શાંતિ માટે નીકળી પડ્યો છું.
માત્ર હનુમાનદાદાના જ દર્શન કેમ? તે અંગેના સવાલનો જવાબ આપતા યુવાને જણાવ્યું કે તે ધોરણ 10 માં હતો ત્યારથી લઇ હનુમાનજીની પૂજા કરે છે. 24 25 વર્ષથી હનુમાનજીની પૂજા કરે છે અને તે હનુમાનજીનો મોટો ભક્ત છે. આથી આથી દેશના જુદા જુદા 51 જેટલા વિખ્યાત મંદિરના દર્શન કરવાનો અને મનમાં શાંતિ માટેના એક ભાવ સાથે આ યુવાન સાયકલ યાત્રાએ નીકળ્યો છે.તેઓએ જણાવ્યું કે રાજસ્થાન અને ગુજરાતની પ્રજા ખૂબ જ પ્રેમાળ છે અને હું આ યાત્રા દરમિયાન મંદિર, પેટ્રોલ પંપ અને પોલીસ સ્ટેશન તેમજ ધાર્મિક જગ્યાએ રાતવાસો કરી અને જમવા સહિતની વ્યવસ્થા કરૂં છું.
આમ, ધાર્મિક આસ્થા સાથે યુપીનો આ યુવાન સાયકલ યાત્રા દ્વારા ભારત ભ્રમણ કરશે. અને હનુમાનજી મહારાજના મંરિદોમાં દર્શન કરીને મનની શાંતિ તેમજ પ્રભુના આશિર્વાદ મેળવશે.