Tuesday, March 19, 2024
Homeખબર સ્પેશીયલપૂર્વવડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવનની આછેરી ઝરમર...

પૂર્વવડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવનની આછેરી ઝરમર…

- Advertisement -

દુનિયામાં અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જેમના વ્યક્તિત્વને આલેખવા શબ્દકોશના તમામ શબ્દો ઓછા પડે, તમામ વિશેષણો અને ઉપમાઓ પણ તેમના વ્યક્તિત્વ માટે ઓછા પડે. તેમનું નામ સાંભળતા જ આંખ સામે તેમનું વિરાટ વ્યક્તિત્વ આવી જાય, અને મનમાં સહજભાવે આદર આવી જ જાય. આવા જ અનેરા વ્યક્તિત્વના માલિક હતા આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી.

- Advertisement -

અટલ બિહારી વાજપેયી… ભારતના રાજકારણમાં આ નામ જ તેમની આગવી ઓળખ માટે પૂરતું છે. નામ સાંભળતા જ મનમાં જેમના માટે આદર થાય એવા કેટલાક રાજપુરુષો ભારતને મળ્યા છે, તેમાંના એક છે. અટલ બિહારી વાજપેયી.

પૂર્વવડાપ્રધાન અટલજીનો આજે જન્મદિવસ છે. 25 ડિસેમ્બર 1924ના રોજ જન્મેલા અટલજી ભારતના એક એવા રાજનેતા છે કે દેશના ઈતિહાસમાં તેમનું નામ કદી નહીં ભૂલાય. તેઓ ભારતના દસમા વડાપ્રધાન તરીકે અલગ અલગ ત્રણ ગાળાઓ 1996મા 13 દિવસ, 1998-99મા 13 મહિના, અને 1999-2004મા પૂરા પાંચ વર્ષ સેવા આપી ચૂક્યા છે. કવિ હ્રદય વાજપેયીજીની ઘણી કવિતાઓ લોકપ્રિય નિવડી છે. ખાસકરીને ‘હાર નહીં માનુંગા’ ભાજપના કાર્યકરોમાં અત્યંત લોકપ્રિય નિવડી છે. તેમની સંબોધન કરવાની આગવી છટાને કારણે તેઓ અન્ય તમામ રાજકારણીઓથી અલગ પડતા હતા, અને અન્ય કરતાં મૂઠ્ઠી ઉંચેરા રાજદ્વારી સમાન હતા. ભાજપમાં ઘણા કાર્યકર્તા તેમની નકલ કરીને તેમના પગલે ચાલવાનો પ્રયાસ કરતા હતા. તેમણે ‘જય જવાન જય કિસાન’ સુત્રમાં ‘જય વિજ્ઞાન’ ઉમેરીને નવું સૂત્ર આપીને ભારતને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ લઈ જવાનું કાર્ય કર્યું હતું, તો 1999માં પોખરણમાં અણુઘડાકો કરીને ભારતને પરમાણુ શસ્ત્રોથી સુસજ્જ બનાવ્યું હતું.

- Advertisement -

ભારત પાકિસ્તાન વચ્ચે સૌપ્રથમ બસ વ્યવહાર તેમના જ શાસનમાં શરૂ થયો અને તેઓ પણ બસમાં બેસીને લાહોર ગયા હતા. સમગ્ર ભાજપમાં અને ભારતના રાજકીય પક્ષોમાં તેમની તોલે આવે એવા એક પણ નેતા નથી. તેમના ગયા પછી ભારતને અને ભાજપને પડેલી ખોટ કોઇ પૂરી કરી શક્યું નથી. ભારત અને ભાજપમાં અટલજીનુ સ્થાન ખાલી જ રહ્યું છે.

વડાપ્રધાન બન્યા બાદ પણ તેઓ વિરોધ પક્ષ સાથે શાલીનતા અને ભાઈચારાથી જ વર્તતા. 1971મા તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી એ પાકિસ્તાન સામેનું યુદ્ધ જીત્યું ત્યારે અટલજીએ તેમને ભારતની ‘દુર્ગા’ કહીને માન આપ્યું હતું. અને કોઈ નેતાથી કોઈ ભૂલ થાય તો કોઈની શેહશરમ રાખ્યા વગર જે સત્ય હોય તે કહી જ દેતા.

- Advertisement -

અટલજી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ રાજ્યો (ઉતર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, દિલ્હી)માંથી ચુટાનારા તેઓ એકમાત્ર સિનિયર સંસદસભ્ય હતા. 2004માં લોકસભાની ચૂંટણીમાં એન.ડી.એ. સરકારની હાર બાદ તેઓ રાજકારણથી દુર થયા હતા.
તેમના પ્રારંભિક જીવન વિશે વાત કરીએ તો તેમના માતા કૃષ્ણા દેવી અને પિતા કૃષ્ણ બિહારી વાજપેયી. તેમના પિતા એક કવિ અને શિક્ષક હતા. અભ્યાસમાં ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરવાની સાથે સાથે તેઓ કવિતા પણ કરતા. મહાત્મા રામચંદ્ર વીર દ્રારા રચિત અમરકૃતિ વિજય પતાકા વાંચીને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. વિદ્યાર્થીકાળથી જ આર.એસએસ.ના કાર્યકર હતા અને ત્યારથી જ તેઓ રાષ્ટ્રીય કક્ષાના તમામ સંવાદ પરિસંવાદની સ્પર્ધામાં ભાગ લેતા. સંધના પ્રણેતા ડો. શ્યામ પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના માર્ગદર્શનમાં રાજકારણ અને રાજનીતિના પાઠ ભણ્યા. ભારતીય જનસંઘની સ્થાપના કરનારા પૈકીના તેઓ એક હતા.

તેઓ વિશેની એક અલગ વાત…. શુભ-અશુભની દ્રષ્ટિએ ’13’ નો અંક અશુભ મનાય છે.. સામાન્ય માનવી 13ના અંક સાથે પનારો પાડવાનું ટાળે છે. પણ આપણા પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને 13ના અંક સાથે અલગ જ સંબંધ છે. કેટલાક લોકોએ આ અંકને તેમના રાજકીય જીવન માટે અશુભ ગણ્યો, પરંતુ આ બધાની પરવા કર્યા વગર તેમણે આ અંકને ન તો શુભ માન્યો કે ન તો અશુભ… તેઓ તો બસ પોતાનું કામ કરતા જ રહ્યાં. આ રહ્યા તેમના જીવનના ’13’ અંક સાથેના કિસ્સા… જ્યારે તેઓ પહેલી વખત 13 મે 1996ના રોજ દેશનાં વડાપ્રધાન બન્યા ત્યારે બરાબર 13 દિવસ પછી બહુમતી સાબિત ન કરી શકવાને કારણે તેમની સરકાર પડી ગઈ. તેઓ એ જ્યારે 1998મા બીજીવાર સરકાર રચી ત્યારે તે ફક્ત 13 મહિના જ ચાલી. તેઓ જ્યારે ત્રીજી વખત 1999મા વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે 13 પક્ષોના ગઠબંધનથી સરકાર બનાવી હતી. અને તેની શપથવિધિ 13 ઓક્ટોબરના રોજ કરી હતી. ત્યારપછી પણ 2004મા 13 એપ્રિલે તેમણે નામાંકન ભર્યું અને ચૂંટણી પછી 13 મે ના રોજ થયેલી મત ગણતરીમાં ભાજપે સત્તા ગુમાવી. આમ છતાં તેમણે ક્યારેય વિચાર્યું નહીં કે 13 નો અંક તેમના માટે શુભ છે કે અશુભ…

સફળ રાજનેતાની સાથે સાથે તેઓ એક લાગણી સભર કવિ પણ હતાં. તેમની કવિતાઓ જીવનનો નિચોડ વર્ણવતી હતી. તેમનું જીવન એટલી ઘટનાઓથી ભરેલું છે કે તેમના વિશે લખતા લખતા શબ્દો ખૂટી જાય. પણ લેખના અંતે તેમની એક કવિતા રજૂ કરી છે જેમાં તેમણે પોતાના હ્રદયની લાગણીઓને શબ્દ વડે રજૂ કરી છે. તેઓ કહે છે કે, આ જીવનમાં કંઈ મેળવ્યું નથી, કંઈ ગુમાવ્યું નથી. જીવન તો અનંત સફર છે અને દરેક પગલે છેતરામણુ હોય છે. છતાંય તેમને જીવન સામે કોઈ ફરિયાદ નથી. મૃત્યુ આવે ત્યારે જાતે જ તેનું સ્વાગત કરી અનંત સફરે જવા તૈયાર રહેવાની વાત કરી છે.

તેમની કવિતા

“ક્યા ખોયા કયા પાયા જગમેં.., મિલતે ઔર બિછડતે રહે જગમેં..
મૂજે કીસી સે નહીં શિકાયત…, યદાપિ છલા ગયા પગ પગ મેં…
એક દ્રષ્ટિ બીતી પર ડાલે.., યાદો કી પોટલી ટટોલે..
અપને હી મન સે કુછ બોલે.., પૃથ્વી લાખો વર્ષ પુરાની..
જીવન એક અનંત કહાની.., પર તન કી અપની સીમાયે..
યદાપિ સો શરદો કી વાણી.., ઈતના કાફી હૈ અંતિમ દસ્તક પર..
ખુદા દરવાજા ખોલે, અપને મનસે કુછ બોલે., જન્મ મરણ કા અવિરત ફેરા.
જીવન બંજારો કા ડેરા.., આજ યહાં, કલ કહાં કુચ હૈ..
કોન જાનતા કિધર સવેરા.., અંધિયારા આકાશ અસીમિત પ્રાણો કે પંખો કો તોલે..
અપને હી મનસે કુછ બોલે…

Happy Birthday Atalji..

 

 

 

 

 

દિપા સોની

ભારતીય જનતા પાર્ટી, મિડિયા સેલ, જામનગર

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular