Tuesday, April 16, 2024
Homeરાજ્યઆમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ દ્વારા ધોરણ 10ના બોગસ સર્ટિફિકેટ કૌભાંડ

આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ દ્વારા ધોરણ 10ના બોગસ સર્ટિફિકેટ કૌભાંડ

અનેક વિદ્યાર્થીઓના બોગસ સર્ટી. બનાવ્યાનું જાહેર થયું : 27 હજારમાં દિલ્હી બોર્ડની માર્કસીટ બનાવી

- Advertisement -

- Advertisement -


ખંભાળિયા તાલુકાના કજુરડા ગામના રહીશ અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ કે.જે. ગઢવી સામે પોલીસ મથકમાં ધોરણ10ના બોગસ સર્ટિફિકેટ અપાવવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. અનેક વિદ્યાર્થીઓ પાસેથી રોકડ રકમ લઈને દિલ્હીનું બોગસ સર્ટિફિકેટ આપવામાં આવતાં આ બનાવ સંદર્ભે ખંભાળિયા પોલીસે ધોરણસર ગુનો નોંધ્યો છે.

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા તાલુકાના ચારબારા ગામના રહીશ પ્રવિણસિંહ પથુભા વાઘેલાએ મૂળ ખંભાળિયા તાલુકાના પરોડિયા ગામે રહેતા અને હાલ કજુરડા ગામના રહીશ એવા ગઢવી કારુ જીવણ ભાન સામે સવિસ્તૃત ફરિયાદમાં જાહેર કરેલી વિગત મુજબ તેમના બે સંતાનો પૈકી નાનો પુત્ર વિરમદેવસિંહ કે જેણે માર્ચ 2017 માં ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને તે ત્રણ વિષયમાં નાપાસ થયો હતો. જેના કારણે વિરમદેવસિંહ મુંજાઈ ગયો હતો. આ બાળકને આર્મીમાં ભરતી થવું હોય, અને દેશની સેવા કરવાની મહેચ્છા હોવાથી નાપાસ થવાના કારણે તેને પારાવાર અફસોસ થયો હતો અને તે માનસિક અસ્વસ્થ થઈ અને નાસીપાસ થઈ ગયો હતો. આ તરુણ કોઈ અનિચ્છનીય પગલું ભરી લ્યે તે માટે ફરિયાદી પ્રવિણસિંહે તેમના મિત્ર સુખદેવસિંહને આખી વાત કરી હતી અને સુખદેવસિંહ દ્વારા તેમના સંબંધીના પુત્રનો કજુરડાના પાટીયા પાસે કારુ ગઢવીની માનવ મંદિર સ્કૂલ મારફતે ધોરણ 10 પાસ કરાવી આપેલ અને જે તે વખતે રૂા.15 હજારનો ખર્ચ થયાનું જણાવ્યું હતું. જેથી પ્રવીણસિંહએ પોતાના પુત્ર માટે તમામ તૈયારી દર્શાવી, કારૂ ગઢવીની કજુરડા સ્થિત ઓફિસ જેવા સ્થળે પહોંચી ગયા હતા.

અહીં ફરિયાદી મહેન્દ્રસિંહ તથા તેમની સાથે ગોઈંજ ખાતે રહેતા તેમના સાઢુભાઈ મહેન્દ્રસિંહ દોલુભા રાઠોડના પુત્ર જયપાલસિંહ અને અન્ય એક બાળક પ્રદ્યુમનસિંહને ધોરણ 10 મા પાસ કરાવવાના હોય, આ અંગેની વાત કરતા કારુ ગઢવીએ કહેલ કે- ‘હું પાસ કરાવી આપીશ. મેં આવા કેટલાય છોકરાઓને ધોરણ 10 પાસ કરાવી દીધા છે. ગુજરાત બોર્ડમાં નહીં થાય, પરીક્ષા દિલ્હી બોર્ડમાં ભરવાની રહેશે. આ માટે રૂા. 27 હજારનો ખર્ચ થશે. તમામ જવાબદારી મારી. તમે ભરોસો રાખો. હું કાયદેસર કાર્યવાહી કરૂ છું. દીકરાને ભવિષ્યમાં કોઈ નડતર ન થાય તે પણ મારે જોવાનું છે. હું કોઇ ગરીબ માણસનું ખોટું નહીં કરૂ’- તેવી લોભામણી ખાતરીઓ આપી હતી.

આથી પ્રવીણસિંહ તથા અન્ય લોકોએ જરૂરી ડોક્યુમેન્ટસ કે.જે. ગઢવીને આપ્યા હતા. થોડા દિવસ પછી તેણે ફોન કરીને કહે કે- ‘દિલ્હીમાં સરકારએ ધોરણ 10 ના તમામ છોકરાઓને ડાયરેક્ટ પાસ કરી દીધા છે. તમે નસીબવાળા છો. એટલે દીકરાને પરીક્ષા આપ્યા વગર સર્ટી મળી ગયું છે’.

આ સર્ટીફીકેટ મેળવી અને આર્મીમાં જવાનું સપનું જોતા વિરમદેવસિંહ પ્રવિણસિંહ વાઘેલાએ થોડા સમય પૂર્વે આર્મીની ભરતી અંગેની જાહેરાત આવતા ઓનલાઇન ફોર્મ ભરી, પરીક્ષા પાસ કરી અને તેના ધોરણ 10ના સર્ટીફિકેટ વિગેરે વેરિફિકેશન માટે જમા કરાવ્યા હતા.

એ પછી 15 દિવસ પૂર્વે વેરિફિકેશન બાદ બોગસ સર્ટી અંગેનો ભાંડો ફૂટતા સલાયા મરીન પોલીસે પ્રવિણસિંહને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જ્યાં તેમણે સમગ્ર ઉપરોક્ત બાબત પોલીસ સમક્ષ વર્ણવી હતી. આ સ્થળે જ કારુ ગઢવીને ફોન કરતાં તેણે કહેલું કે- ‘મેં આપેલું સર્ટી ઓરીજનલ જ છે. ઓનલાઇન થયેલ ન હોવાથી આ લોચો થયો છે’ જેના અનુસંધાને ફરિયાદી પ્રવિણસિંહ તેમનો પુત્ર વીરમદેવસિંહ, મિત્ર સુખદેવસિંહ તથા કિરીટસિંહ વિગેરે રાજકોટ ખાતે એક આસામી પાસે ગયા હતા. પરંતુ તેમનું અવસાન થઈ ગયું હતું. બાદમાં કારુ ગઢવી ફોન ઉપાડતા ન હતા અને ઘરના મહિલાઓને ફોન આપી દેતા હતા.

આમ, રૂપિયા સત્યાવીસ હજાર લઈ અને છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરી, બોગસ સર્ટિફિકેટ બનાવવા ઉપરાંત કજૂરડા ગામના પાટિયા પાસે ચાલતી માનવ મંદિર સ્કૂલ અને હોસ્ટેલ પણ સંભવત: માન્યતા વગરની હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ફરિયાદીના પુત્ર વીરમદેવસિંહ ઉપરાંત અન્ય છોકરાઓના પણ બોગસ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા હોવાની સંભાવના પણ પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 406, 420, 465, 467, 468, 471 તથા 474 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.આઈ. પી.એમ. જુડાલની રાહબરી હેઠળ પીએસઆઈ એમ.જે. સાગઠિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના આગેવાન તરીકે કે.જે. ગઢવી દ્વારા સક્રિય રહી અને પાર્ટી માટે કામગીરી કરવામાં આવી હતી. આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular