જામનગરમાં અન્નપૂર્ણા ચોકડી પાસે ભાઇની રાહ જોતાં પ્રૌઢે જમવાનું આપવાની ના પાડતાં શખ્સે ગાળો કાઢી આડેધડ માર મારી ઇંટો વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં લાલવાડી, શેરી નંબર એકમાં અન્નપૂર્ણા માતાજીના મંદિર પાસે રહેતાં મનસુખભાઇ ઉર્ફે મનુભાઇ નાથાભાઇ ચૌહાણ (ઉ.વ.54) નામના પ્રૌઢ ગઇકાલે રાત્રિના સમયે અન્નપૂર્ણા ચોકડી પાસે તેના ભાઇ રમેશભાઇ માટે જમવાનું લઇને તેની રાહ જોતા હતા. તે દરમ્યાન સંજય ઉર્ફે કાલિયો ધરમશી સોરઠિયા નામના શખ્સે આવીને મનસુખભાઇ પાસે જમવાનું માંગ્યુ હતું. પરંતુ મનસુખભાઇએ કહ્યું કે, જમવાનુ: અમારા પૂરતું જ છે તેમ જણાવતા ઉશ્કેરાયેલા સંજયએ જેમ ફાવે તેમ ગાળો કાઢી આડેધડ માર મારી બાજુમાં પડેલી ઈંટ ઉપાડી મનસુખભાઇના મોઢા ઉપર મારી ઇજા પહોંચાડી હતી. હુમલામાં ઇજાગ્રસ્ત મનસુખભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં હે.કો. બી. જે. જાડેજા તથા સ્ટાફે સંજય વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


