જામનગર પોલીસ અધિક્ષક દ્વારા ગઈકાલે જિલ્લાના ડીવાયએસપી, પોલીસ ઈન્સ્પેકટર, સબ ઈન્સ્પેકટર સહિતના અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. દરમિયાન જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલા રહેણાંક વિસ્તારમાં રહેતાં પરપ્રાંતિયોના દસ્તાવેજો ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મળતી વિગત મુજબ, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં હાઈએલર્ટ કરી દેવામાં આવ્યું છે. આ હુમલા બાદ કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. સાથે-સાથે દેશભરમાં વર્ષોથી રહેતાં પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓના દસ્તાવેજો અને વિઝા મર્યાદા ચકાસવામાં આવી રહ્યા છે. જેના પગલે ગુજરાતના અમદાવાદ અને સુરત સહિતના તમામ જિલ્લાઓમાં અને તાલુુકાઓમાં વસવાટ કરતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ તથા પરપ્રાંતિયોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી હતી અને અમદાવાદ તથા સુરતમાંથી 1500 થી વધુ બાંગ્લાદેશીઓને તેમના વતનમાં પરત મોકલી દેવામાં આવ્યા હતા. રાજ્યની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ વસવાટ કરતા બાંગ્લાદેશીઓ તથા પરપ્રાંતિયોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. દરમિયાન ગઈકાલે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય ડીવાયએસપી આર બી દેવધા, તથા પોલીસ ઈન્સ્પેકટરો અને સબ ઈન્સ્પેકટરો સહિતના અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
આવી પરિસ્થિતિમાં યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સ કઈંક મોટી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે. દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં જામનગર તાલુકાના દરેડ ગામમાં મસીતિયા રોડ પર તથા ગામના અનેક વિસ્તારમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિયોના દસ્તાવેજો ચકાસવાની કામગીરી પંચકોશી બી ડીવીઝન દ્વારા કરવામાં આવી છે. જેમાં મજૂરી કામ કરતાં શ્રમિકોના રહેણાંક પૂરાવાઓ તથા આધાર સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. દરેડ સહિતના વિસ્તારોમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ર્ચિમ બંગાલ સહિતના રાજ્યોમાંથી રોજી રોટી કમાાવવા માટે શ્રમિકો આવે છે.