જામનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલા વૃંદાવન એપાર્ટમેન્ટમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને કબાટમાંથી રોકડ, સોનાના ચેઇન, મંગળસૂત્ર સહિત કુલ રૂપિયા 2,77,000નો મુદામાલ ઉસેડી ગયા હતા. આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.
આ ચોરીના બનાવની વિગત મુજબ જામનગરના મહાવીરનગરના વૃંદાવન એપાર્ટમેન્ટના રૂમ નંબર 201માં રહેતાં જ્યોતિબેન હરિશભાઇ મકવાણા નામના મહિલાના મકાનમાં ગત્ તા. 20 થી 27 જુનના સમયગાળામાં અજાણ્યા શખ્સો ઘરમાં પ્રવેશ્યા હતા અને લાકડાંના કબાટનો ડ્રોઅરનું લોક ખોલી તેમાં રહેલ રૂા. 70 હજારની રોકડ તથા રૂપિયા 1,50,000ની કિંમતના કુલ 15 ગ્રામના બે સોનાના ચેઇન તથા રૂા. 50 હજારની કિંમતનું પાંચ સરવાળું લાલ મોતીવાળું મંગળસૂત્ર જેમાં મોતીમાં વચ્ચે ચાર ગ્રામના સોનાના ચાર પાળા હતાં. તેમજ રૂપિયા સાત હજારની કિંમતની ચાંદીની પોંચી સહિતની કુલ રૂા. 2,77,000ની કિંમતની માલમત્તા ચોરી કરી ગયા હતા.
આ ચોરી અંગે જ્યોતિબેન દ્વારા સિટી ‘એ’ ડિવિઝનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતાં.


