જામનગરમાં પટેલ કોલોની, શેરી નંબર 11માં ફરિયાદીને વિધવા સહાયનું ખાતું ખોલી આપવાના બ્હાને વાતચીત કરી એક શખ્સ તેના મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રહેલ સોનાના દાગીના ચોરી કરી ગયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
આ ચોરીના બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં પટેલ કોલોની, શેરી નંબર 11, રોડ નંબર 3, પ્લોટ નંબર એક, નહેરૂનગરમાં રહેતાં વીણાબેન દિલીપકુમાર ભરવાડા (ઉ.વ. 74) નામના વૃદ્ધા ગત્ તા. 24-03-2026ના સવારના સમયે પોતાના ઘરની બહાર બેઠાં હતા. ત્યારે શકદાર આરોપી જાફર રિક્ષાવાળો તથા બે અજાણ્યા શખ્સોએ ફરિયાદીને વિધવા સહાયનું ખાતું બંધ થઇ ગયું હોય, નવું ખાતું ખોલી ચેક આપવાનું કહેતાં ફરિયાદીને ચેક આપ્યો હતો. આ દરમ્યાન શકદાર આરોપી ફરિયાદીની જાણ બહાર તેના મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રહેલા પ્લાસ્ટીકના ડબ્બામાં રાખેલા કુલ રૂપિયા 1,29,700ની કિંમતના સોનાના દાગીના ચોરી કરી નાશી ગયા હતા.
આ અંગે વીણાબેન દ્વારા સિટી ‘બી’ ડિવિઝનમાં જાફર રિક્ષાવાળો તથા બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાતા સિટી ‘બી’ હે.કો. એમ. એચ. મહેતા તથા સ્ટાફએ આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.


