જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાને લઇ દેશભરમાં રોષની લાગણી છવાઇ છે. જામનગરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જુદી-જુદી હિન્દુ સંસ્થાઓ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા. તો કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ આતંકવાદી હુમલાને લઇ દેશભરમાં રોષની લાગણી ફેલાઇ છે. જામનગરમાં પણ વિરોધ પ્રદર્શન થયું હતું. સમસ્ત હિન્દુ સમાજ અને રાષ્ટ્રિય અસ્મિતા મંચ દ્વારા જામનગરના હવાઇચોક ખાતે આતંકવાદીઓના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગરના મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોશી, દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, કોર્પોરેટર ગોપાલભાઇ સોરઠિયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઇ કગથરા, પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન મનિષભાઇ કનખરા, હિન્દુ સેનાના પ્રતિક ભટ્ટ સહિતના ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ જામનગરના બેડીગેઇટ ખાતે આંતકવાદીઓના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ, કાર્યકરો જોડાયા હતા.