જામનગર જિલ્લા માહેશ્વરી સભા અને હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના નેજા હેઠળ જામનગર સ્થિત માનસિક હોસ્પિટલના દર્દીઓને યાત્રાધામ દ્વારકાધીશ ખાતેના જગત મંદિરે દર્શન કરાવવામાં આવ્યા હતા.
વયોવૃદ્ધ વડીલો કે અનાથ આશ્રમમાં રહેતા લોકોને વિવિધ પ્રકારની સેવા તથા ધર્મસ્થળોની મુલાકાત બાબતે અવારનવાર સેવાભાવીઓ દ્વારા સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે. પરંતુ જામનગરની હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થમાં સારવાર લેતા દર્દીઓને દ્વારકાધીશ મંદિરમાં દર્શન તથા પૂજનનો લાભ મળે તે અંગેનો ઉમદા વિચાર જામનગર જિલ્લા માહેશ્વરી સભાના બી.કે. સાબુ, રાકેશ લઢ્ઢા, દિપક માહેશ્વરી, મનોજ મણિયાર સાથે મંદિર સુરક્ષાના ડીવાયએસપી સમીર સારડાને આવતા તેમના દ્વારા આ અંગે સંબંધિત તંત્ર તથા અધિકારીઓનો સંપર્ક કરી આ માટેની મંજૂરી સહિતની જરૂરી પ્રક્રિયા તેમજ સાવચેતી અંગેના પગલાં બાદ આશરે 20 જેટલા માનસિક દર્દીઓ તથા દિવ્યાંગ દર્દીઓને દ્વારકા ખાતે ધ્વજાજી સહિતના દર્શન કરાવવાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.
આ માટે જિલ્લા કલેકટર તંત્ર, પોલીસ પ્રશાસન, દ્વારકાધીશ મંદિર-શારદાપીઠ વિગેરેના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરી આયોજન મુજબ એસ.ટી.ની ખાસ બસ મારફતે માનસિક અસરગ્રસ્ત દર્દીઓ માટે એટેન્ડન્ટ તથા નર્સિંગ સ્ટાફની સંપૂર્ણ વ્યવસ્થા બાદ ગઈકાલે મંગળવારે તેઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થીઓ બન્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા માટે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક મંડળ તેમજ દ્વારકા મંદિર સુરક્ષા પોલીસ અને દેવસ્થાન સમિતિનો સહયોગ સાંપડયો હતો. આ અનેરી સેવા પ્રવૃત્તિ માટે વિચાર આવતા તેમના દ્વારા પ્રારંભથી અંત સુધીના સુદ્રઢ આયોજન, મંજૂરી, પ્રવાસના આયોજન માટે હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.