જામનગરમાં આગામી ટૂંક સમયમાં શ્રાવણી લોકમેળાનો પ્રારંભ થવા જઇ રહયો છે. હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેને લઇ જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તા. 01 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર દરમ્યાન પરંપરાગત શ્રાવણી લોકમેળો યોજાવાનો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી લોકમેળામાં દર વર્ષે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટતી હોય છે. ત્યારે આ વખતે પણ આયોજિત આ શ્રાવણી લોકમેળાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. તંત્ર દ્વારા મેળાના મેદાનમાં વિવિધ સ્ટોલ માટે પ્લોટનું માર્કિંગ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવ્યા બાદ સંચાલકો દ્વારા નાની મોટી મનોરંજનની રાઇડ ગોઠવવા માટે તૈયારી પુરજોશથી કરવામાં આવી છે. બ્રેક ડાન્સ, ટોરાટોરા, ફજેત ફાળકો, નાવડી સહિતની અનેક નાની મોટી રાઇડો ગોઠવવામાં આવી રહી છે.
મેળાને લઇ ચાલતી તૈયારીઓનું જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારી દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સ્ટે. કમિટીના ચેરમેન ધીરેનભાઇ મોનાણીએ મિડિયા સાથેની વાતચાીતમાં જણાવ્યું હતું કે, તા. 01 સપ્ટેમ્બરથી મેળો શરૂ થાય તે પ્રકારનું આયોજન છે. સોઇલ ટેસ્ટ સહિતની કામગીરી પણ કરવામાં આવી છે. તેમજ રાઇડ સંચાલકોએ પરફોર્મન્સ લાયસન્સ મેળવવાના રહેશે. તે લાયસન્સ આવ્યા બાદ રાઇડો ચાલુ થશે. તેમજ ગ્રાઉન્ડમાં લાઇટ, પાણીની સુવિધા તેમજ કાદવ કીચડ ન થાય તે માટેની તકેદારી રાખવામાં આવશે. તેમજ જો લાઇટ જાય તેા જનરેટર સહિતની સુવિધા રાખવામાં આવશે.
View this post on Instagram
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મનોરંજનની નાની મોટી 21 રાઇડો મેળામાં રહેશે. તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા આ શ્રાવણી લોકમેળાનો પાંચ કરોડનો વિમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાઇડ સંચાલકો દ્વારા પણ ઇન્ડીવિજ્યુઅલ વિમો લેવામાં આવ્યો છે. આ મેળામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટવાની હોય જેને લઇ સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. પોલીસ, ફાયર સહિતના સ્ટાફ ઉપસ્થિત રહેશે.
જામનગરના મેયર મોનીકાબેન વ્યાસ, સ્ટે. કમિટી ચેરમેન ધીરેનભાઇ મોનાણી, ડે. મેયર રાકેશભાઇ ડેર, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ વરણવા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા આ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.


