લાલપુર તાલુકાના ભણગોર ગામમાં મંડપ સર્વિસનો વ્યવસાય કરતા યુવાનના પિતરાઈ ભાઈની દોઢ વર્ષ પહેલાં ત્રણ શખ્સો દ્વારા હત્યા નિપજાવવામાં આવી હતી. આ હત્યામાં જેલમાં રહેલાં એક શખ્સનો ખાર રાખી યુવાનને ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી.

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતાં પ્રતાપસિંહ ઉર્ફે પુષ્પરાજસિંહ લાલુભા જાડેજા નામના મંડપ સર્વિસનો વ્યવસાય કરતા યુવાનના કાકાના દિકરા વિરેન્દ્રસિંહ છોટુભા જાડેજાનું દોઢ વર્ષ પહેલાં ભણગોર ગામના રાજદિપસિંહ ઉર્ફે પિન્ટુ જગદીશસિંહ જાડેજા, જગદીશસિંહ બહાદુરસિંહ જાડેજા, કુંદનસિંહ ઉર્ફે હકુભા રામભા જાડેજા નામના ત્રણ શખ્સોએ હત્યા નિપજાવી હતી અને આ હત્યાના બનાવમાં રાજદિપસિંહ હાલ જેલમાં હોય જે બાબતનો ખાર રાખી કુંદનસિંહ ઉર્ફે હકુભા રામભા જાડેજા નામના શખ્સે પ્રતાપસિંહની બે દિવસ પહેલાં સવારના સમયે ભણગોર ગામના ચોરા પાસે આંતરીને ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. ગાળો કાઢી ધમકી આપ્યાના બનાવમાં પ્રતાપસિંહ દ્વારા જાણ કરાતા હેકો એસ. પી. જાડેજા તથા સ્ટાફે કુંદનસિંહ વિરૂધ્ધ ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.