ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં જામનગર સરહદી જીલ્લો હોવાથી ગંભીર પરિસ્થિતિ સર્જાય તો તેને પહોચી વળવા માટે રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર બી.એ.શાહની અધ્યક્ષતામાં અને જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં સતર્કતાના ભાગરૂપે આરોગ્ય વિષયક સેવાઓને લઈને સજ્જતા અંગે ઇન્ડિયન મેડીકલ એસોસિએશન (IMA) સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં જરૂરી તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.

રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર બી.એ.શાહે મેડીકલ ઈમરજન્સી સર્જાય તો તેની તકેદારીના ભાગરૂપે જામનગરની જી.જી.હોસ્પિટલના વડા તથા પ્રાઈવેટ હોસ્પિટલોના ડોકટરોએ હોસ્પિટલોમાં ઉપલબ્ધ આરોગ્ય વિષયક સુવિધાઓ અંગેની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં ઓપરેશન થીએટર, આઈસીયુ, બ્લડનો જથ્થો, દવાઓનો સ્ટોક, મેડીકલ ઉપકરણો, ડોક્ટરોની ટીમ સ્ટેન્ડબાય રાખવા વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા કરી તકેદારીના ભાગરૂપે એલર્ટ રહેવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
જામનગર જીલ્લો સરહદી જીલ્લો હોવાથી જરૂર પડ્યે જો બ્લેકઆઉટની સ્થિતિ સર્જાય તો હોસ્પિટલોમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય અને લોકોને ત્વરિત સુવિધાઓ અને સારવાર મળી રહે તે માટે જનરેટર સહિતના ઉપકરણો સુનિશ્ચિત કરવા જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરે સુચન કર્યું હતું. તથા જરૂર પડ્યે લોકોને તમામ સ્વાસ્થ્ય સેવાઓ ત્વરિત મળી રહે તે પ્રકારે આયોજન હાથ ધરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા કોઇપણ પરિસ્થિતિમાં ખડેપગે તૈયાર રહી લોકોની તથા દેશના જવાનોની મદદ કરવા સંપૂર્ણ તૈયારી અને સજ્જતા દર્શાવી હતી.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જી.જી.હોસ્પીટલના તબીબી અધિક્ષક ડો.દીપક તિવારી,આયુર્વેદ હોસ્પીટલના તબીબો,આઈએમએના પ્રેસિડેન્ટ ડો.મેહુલ પોરેચા, આઈએમએના સભ્યો,વિવિધ બ્લડબેંકના પ્રોફેસરો, સેક્રેટરીઓ,કેમિસ્ટ એસોસીએશન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.