દેશમાં તાજેતરમાં પ્રવર્તતી પરીસ્થિતિને ધ્યાને લેતાં નજીકના સમયગાળામાં દેશ વિરોધી તત્વો દ્વારા દરિયાઈ માર્ગ મારફત કે વિસ્તારોમાં દેશદ્રોહી પ્રવૃતિની સંભાવના રહેલ હોય, માછીમારો તથા માછીમારી બોટોની સલામતી હેતુસર માછીમારી બોટોને દરીયામાં માછીમારી કરવા જવા માટેના ટોકન ઇસ્યુ કરવાનુ બંધ કરવામાં આવ્યું છે. તથા દરિયામાં રહેલ તમામ બોટોને તાત્કાલિક અસરથી પરત ફરવા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

જેને લઈને જામનગર મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા જામનગર જિલ્લાના બોટ માલીકોને પરીસ્થિતિને ધ્યાને લઇ દરીયામાં રહેલ તમામ બોટોને તાત્કાલિક અસરથી પરત બેલાવી લેવા તથા ટોકન બંધ કરવામાં આવેલ હોવાથી કોઇપણ માછીમારી બોટોએ દરીયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.
માછીમારોએ કોઇ શંકાશીલ કે ગેરકાનુની પ્રવૃત્તિ કરતા વ્યક્તિ અથવા રાષ્ટ્રિય સુરક્ષા વિરોધી કોઇપણ કાર્ય કરતા જણાય કે કોઈ શંકાશીલ બોટ/વસ્તુ/વ્યક્તિની મુવમેન્ટ ધ્યાને આવે તો તાત્કાલિક નજીકના ઇન્ડીયન નેવી/પોલીસ સ્ટેશન/કોસ્ટગાર્ડ/સુરક્ષા એજન્સીને જાણ કરવી.
જિલ્લાના તમામ મત્સ્યકેન્દ્રો પરના માછીમારો, બોટ/ હોડીઓના માલિકો, આગેવાનો, મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ/ એસોસિએશનોના હોદેદારોને ઉપરોકત સૂચનાઓનું ગંભીરતા પૂર્વક પાલન કરવા અંગેની સૂચના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગર દ્વારા આપવામાં આવી છે.