જામનગર એરપોર્ટ પર મુસાફરોને વધુ સારો અનુભવ મળે અને સ્થાનિક કલા, સંસ્કૃતિ તથા પ્રવાસનને પ્રોત્સાહન મળે તે હેતુથી તા. 17 સપ્ટેમ્બરથી તા. 10 ઓક્ટોબર, 2026 સુધી 24 દિવસીય ‘યાત્રી સેવા અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર એરપોર્ટના ડાયરેક્ટર ડી.કે. સિંહના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ અભિયાન દરમિયાન વિવિધ દિવસોએ અલગ-અલગ થીમ આધારિત કાર્યક્રમો યોજાશે.
અભિયાનની શરૂઆત મુસાફરોના વિશેષ સ્વાગત સાથે કરવામાં આવશે. એરપોર્ટ પર ‘વંદે માતરમ્’ ગાન અને ફોક ડાન્સ દ્વારા મુસાફરોનું સ્વાગત કરી જામનગરની સંસ્કૃતિ અને પરંપરાનો પરિચય કરાવવામાં આવશે.
આજે તા. 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એરપોર્ટ પર વિશેષ થીમ આધારિત સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવશે. અહીં મુસાફરો સેલ્ફી લઈ શકશે અને અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવી શકશે.
View this post on Instagram
તા. 27 સપ્ટેમ્બરે વર્લ્ડ ટૂરિઝમ ડે નિમિત્તે જામનગર અને સૌરાષ્ટ્રની સ્થાનિક કલા, સંસ્કૃતિ તથા હસ્તકલાની થીમ આધારિત આયોજન કરવામાં આવશે. એરપોર્ટ પર આવતા-જતા મુસાફરોને સ્થાનિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળશે.
તા.30 સપ્ટેમ્બરે જામનગર એરપોર્ટને ‘લોકલ કલ્ચરલ ગેટવે’ તરીકે પ્રસ્તુત કરવાની થીમ સાથે કાર્યક્રમ યોજાશે. સ્થાનિક કલાકારો, સંગીત અને હસ્તકલાને પ્રોત્સાહન આપી એરપોર્ટ પરથી જામનગરની સ્થાનિક ઓળખ અને સાંસ્કૃતિક વારસાને દેશ-વિદેશના મુસાફરો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
તા. 2 ઓક્ટોબરે સ્વચ્છતા દિવસ નિમિત્તે એરપોર્ટ પર સેનિટાઇઝેશન અને વેસ્ટ રિમૂવલ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવશે. મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા તેમજ સ્વચ્છ અને સુંદર એરપોર્ટના સંદેશને આગળ વધારવા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે.
આ રીતે તા. 17 સપ્ટેમ્બરથી તા. 10 ઓક્ટોબર સુધી ચાલનારા 24 દિવસીય ‘યાત્રી સેવા અભિયાન’ દરમિયાન જામનગર એરપોર્ટ પર મુસાફર સેવા સાથે સ્થાનિક કલા, સંસ્કૃતિ, પ્રવાસન અને સ્વચ્છતાને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમો યોજાશે. તા. 10 ઓક્ટોબરના રોજ આ અભિયાનનું સમાપન કરવામાં આવશે.


