દ્વારકાના જગતમંદિરમાં આજરોજ બુધવારે જયેષ્ઠાભિષેક (ખુલ્લા પડદે સ્નાન)ના દર્શન કરવામાં આવ્યા હતા. દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ જયેષ્ઠાભિષેક કરવામાં આવે છે. આજે બુધવારે મંગલા આરતી બાદ સવારે 8 વાગ્યે ઠાકોરજીનો જયેષ્ઠાભિષેક કરવામાં આવ્યો હતો. જેમાં શ્રીજીનુ ઋતુનુસાર અમૃત (આંબા) તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જલથી જલાભિષેક કરવામાં કરાયો હતો. વારાદાર પૂજારીઓ દ્વારા સાંજના સમયે શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને મંદિરના ગર્ભગૃહથી બહાર નિજસભામાં નૌકાવિહાર કરાવવામાં આવશે.

જયેષ્ઠાભિષેક ઉત્સવ વિશે માહિતી આપતા દ્વારકાધીશ મંદિરના પ્રણવભાઈ પૂજારીએ જણાવેલ કે વર્ષમાં જન્માષ્ટમી અને જયેષ્ઠ પૂર્ણિમાં એમ માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક સ્નાન કરાવવામાં આવે છે જેમાંનો એક જયેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહત્વ છે. બહારગામથી આવેલા ભાવિકો તેમજ બહોળી સંખ્યામાં સ્થાનીકો અને ઓનલાઈનના માધ્યમથી લાખો શ્રધ્ધાળુઓ જયેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ સાંજના સમયે બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
જગતમંદિરમાં શ્રીજીના જયેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે જલયાત્રા ઉત્સવની પૂર્વ તૈયારી રૂપે સોમવારે સાંજે જગતમંદિરના પૂજારી પરિવારના પુરૂષો તથા મહિલાઓ દ્વારા ચાંદીના બેડાં, ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીના વાસણોમાં દ્વારકાના અતિ પ્રાચીન અને પવિત્રશ્રી ભદ્રકાલી માતાજીના મંદિર પાસેના અઘોર કુંડમાંથી પૂજા કરી કુંડના પવિત્ર જલને શાસ્ત્રોકત વિધિથી બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે દ્વારકા શહેરના રાજમાર્ગો પર થઈ જગતમંદિર ખાતે લઈ જવામાં આવેલ. ગ્રીષ્મ ઋતુમાંથી વર્ષા ઋતુ આવતી હોય આ પવિત્ર જલને વિવિધ ઔષધિયુકત બનાવી રાત્રિ અધિવાસન કરી આજે આ પવિત્ર જલથી ઠાકોરજીને જલાભિષેક કરાવાયો હતો તેમજ સાંજના સમયે જગતમંદિરમાં પવિત્ર જલથી જલ કુંડ (હોજ) ભરવામાં આવશે. જેમાં ભગવાનનું બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બિરાજમાન કરી, નૌકા ઉત્સવ એટલે કે જલયાત્રા ઉત્સવ મનોરથની ઉજવણી કરાશે. જેનો લાભ દેશવિદેશના ભાવિકોને પ્રત્યક્ષ તેમજ ઓન લાઈનના માધ્યમથી મળશે.
જગતમંદિરમાં શ્રીજીના જયેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે ઠાકોરજીના નિત્ય ક્રમમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ સવારે 6 વાગ્યે મંગલા આરતી, 6 થી 8 મંગલા દર્શન, 8 થી 9 શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન બાદ બપોરે 1 થી 5 સુધી અનોસર (દર્શન બંધ) રહ્યા હતા.
સાંજે 5 વાગ્યે ઉત્થાપનના દર્શન અને 5 થી 9:30 સુધી જલયાત્રા ઉત્સવ અને અન્ય ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. રાત્રે 9:30 વાગ્યે પુન: અનોસર (દર્શન બંધ) થશે તેમ મંદિરના વહીવટદારની એક યાદીમાં જણાવાયું છે.