જામનગર શહેરના ખંભાળિયા નાકા પાસે મીરા દાતારની દરગાહ નજીક બે વર્ષ અગાઉની બોલાચાલી અને ઝઘડાનો ખાર રાખી ચાર મહિલા સહિત પાંચ શખ્સોએ મહિલાને માર મારી જાતીય સતામણી કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના પટેલ પાર્ક, આશીર્વાદ દીપ-03 વિસ્તારમાં રહેતાં બબીતા દેવી તુકારામ કાંબલે (ઉ.વ.40) નામની મહિલાના જૂના પાડોશી સાથે બે વર્ષ અગાઉ આશરીન સાથે બોલાચાલી સાથે ઝઘડો થયો હતો. તે બાબતનો ખાર રાખી ગત્ તા. 16ના રોજ રાત્રિના સમયે ખંભાળિયા નાકા પાસે, મીરા દાતારની દરગાહની બહાર બબિતાદેવી ઉપર ઝરીનાબેન, તેની દીકરી આશરીન, આશરીનને બહેનપણી અલવીના, અલવીનાની માતા ફરિદાબેન અને ઝરીનાબેનનો દીકરો અનુ સહિતના પાંચ શખ્સોએ એકસંપ કરી ઢીકાપાટુનો માર મારી બબીતાદેવીને જમીન ઉપર પછાડી દીધાં હતાં. તેમજ અનુએ મહિલાની જાતીય સતામણી કરી નિર્લજ્જ હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવ બાદ બબીતા દેવી દ્વારા જાણ કરાતા હે.કો. એમ. આર. પરમાર તથા સ્ટાફે પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી અટકાયત કરવા કવાયત હાથ ધરી હતી.


