રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા. 12 અને 13 જુલાઈના જામનગર જિલ્લાની મુલાકાત લેશે. કાર્યક્રમના સુચારુ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પી. બી. પંડ્યાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યપાલના પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, પ્રોટોકોલ, વાહન વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળોની તૈયારીઓ, સ્વચ્છતા, પાર્કિંગ, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ તેમજ વિવિધ વિભાગો વચ્ચે જરૂરી સંકલન અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરએ સંબંધિત વિભાગોના અધિકારીઓને તેમની સોંપાયેલ જવાબદારીઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા તેમજ રાજ્યપાલના સમગ્ર પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા.12 અને 13 જુલાઈના જામનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારશે. મુલાકાત દરમિયાન તેઓ પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન, ગ્રામસભા, વૃક્ષારોપણ,સ્વચ્છતા અભિયાન અને ખેડૂતો સાથેના પરિસંવાદ સહિતના વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે.
તા.12 જુલાઈના સવારે 9:15 કલાકે જામનગર એરપોર્ટ ખાતે આગમન કર્યા બાદ રાજ્યપાલ લાખાબાવળસ્થિત વેદગર્ભ વિહારની મુલાકાત બાદ સવારે 10:30 થી 11:30 દરમિયાન જામનગરસ્થિત ધીરુભાઈ અંબાણી ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાનાર ગર્ભવિજ્ઞાન, ગર્ભસંસ્કાર, ડોક્ટર ટ્રેનિંગ દીક્ષાંત અને રાષ્ટ્રીય સંગોષ્ઠિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
બપોરે 11:50 કલાકે તેઓ જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરશે. સાંજે 6:35 કલાકે તેઓ ધ્રોલ તાલુકાના લતીપુર ગામ ખાતે કોલોની વિસ્તાર, સિંચાઈ વિભાગ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બનશે. બાદમાં લતીપુરના ચભાડિયા શેરી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. બાદમાં લતીપુર ખાતે ભોજન ગ્રહણ કરશે. અંદાજિત 9:00 કલાકે તેઓ સરકારી ઉચ્ચતર હાઈસ્કૂલ, લતિપુર ખાતે સ્થાનિક નાગરિકો સાથે ‘ખાટલા પરિષદ’ અંતર્ગત સંવાદ યોજશે.
બીજા દિવસે તા. 13 જુલાઈના રોજ રાજ્યપાલ સવારે 5:45 કલાકે લતીપુર તાલુકા પ્રાથમિક શાળા ખાતે યોજાનાર યોગ કાર્યક્રમમાં સહભાગી બનશે. બાદમાં ગાય દોહન અને સવારે 7:00 કલાકે બલદેવભાઈ ખાત્રાણી નામના ખેડૂતના પ્રાકૃતિક ખેતી ફાર્મ, લતીપુરની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ બાદ સવારે 9:45 કલાકે તેઓ ધ્રોલ સ્થિત જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય ખાતે પ્રાકૃતિક ખેતી પ્રદર્શનની મુલાકાત, કૃષિકારો સાથે પરિસંવાદ તથા કૃષિસખી અને સીઆરપી સાથે સંવાદ કરશે.


