લાલપુરના મુળીલા ગામમાં રહેતાં મહિલાને ટીબીની બિમારી હોય પેટમાં દુખાવો રહેતો હોય પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ જી. જી. હોસ્પિટલમાં આંતરડાનું ઓપરેશન બાદ શરીરમાં થયેલા ઈન્ફેક્શનના કારણે મૃત્યુ નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ મૂળ ખંભાળિયાના સિંહણ ગામના અને હાલ લાલપુરના મુળીલા ગામમાં રહેતાં જશુબેન ચંદુભાઇ વશરા (ઉ.વ.35) નામના મહિલાને ત્રણેક વર્ષ પૂર્વે ટીબીની બિમારીની અસર થતાં તેની સારવાર કરાવવામાં આવી હતી. ત્યારબાદ તા. 30-06-2026ના તેમને પેટમાં દુખાવાની તકલીફ થતાં જામનગરમાં ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં આંતરડાનું ઓપરેશન કરાવેલ હોય, જે ઓપરેશન બાદ શરીરમાં ઇન્ફેક્શન થવાના કારણે સારવાર દરમ્યાન તા. 01ના તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ ચંદુભાઇ દ્વારા જાણ કરાતા લાલપુરના પીઆઇ કે.એલ.ગળચર તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


