Sunday, May 18, 2025
Homeસમાચારરાષ્ટ્રીયસતત બીજા દિવસે દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો

સતત બીજા દિવસે દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો

24 કલાકમાં 67,208 નવા કેસ નોંધાયા

દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 67,208 કેસ નોંધાયા છે. સતત બીજા દિવસે કેસોમાં ઉછાળો જોવા મળે છે. બીજીતરફ રાહતની વાત એ છે કે કોરોનાના સક્રિય કેસો 71 દિવસ બાદ નીચેના સ્તરે રહ્યા છે. દેશમાં હાલમાં 8,26,740 એક્ટિવ કેસ છે જે કુલ કેસ લોડના 2.78 ટકા છે. આરોગ્ય મંત્રાલયના મતે એક દિવસમાં વધુ 2,330 દર્દીના મોત થયા છે. કોરોનાના નવા કેસોમાં બીજા દિવસે ઉછાળો નોંધાતા સંભવિત ત્રીજી લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 2,97,00,313 થયા છે. રિકવરીનો દર વધીને 95.93 ટકા થયો છે. કેન્દ્રીય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા એક દિવસમાં કોરોનાથી 1,03,570 દર્દીઓ સ્વસ્થ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 2,84,91,670 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સળંગ 35માં દિવસે કોરોનાના નવા કેસની તુલનાએ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધુ રહી હતી. 24 કલાકમાં નવા કેસોમાં 38,692નો ઘટાડો નોંધાયો છે.

બુધવારે 19,31,249 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં દેશમાં કુલ 38,52,38,220 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 3.48 ટકા નોંધાયો છે જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 3.99 ટકા રહ્યો છે. દેશમાં કોરોના સામે રક્ષણ આપવા રસીકરણ વેગવાન બનાવાયું છે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે હવે કો-વિન પર પૂર્વ નોંધણી કરાવવી જરૂરી નથી. લોકો રસી કેન્દ્ર પર જઈને નોંધણી કરાવી સીધી રસી લઈ શકશે. કેન્દ્રે યુવાઓના રસીકરણ માટે નિયમોમાં બદલાવ કર્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 26,55,19,251 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular