ખંભાળિયા નગરપાલિકાની આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે સોમવારે જાહેર થયેલી ઉમેદવારોની સત્તાવાર માહિતીમાં વોર્ડ નંબર 6 ના 9 પૈકી આપ કોંગ્રેસના મળી પાંચ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો આજરોજ પરત ખેંચી લેતા નગરપાલિકાનો વોર્ડ નંબર 6 બિનહરીફ થયો છે.
ખંભાળિયાના રાજકારણમાં પ્રથમ વખત અને અતિ ચર્ચાસ્પદ બની ગયેલા આ પ્રકરણમાં ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર 6 માં ભાજપના 4, કોંગ્રેસના બે અને આમ આદમી પાર્ટીના 3 મળીને મળે કુલ 9 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આજરોજ બુધવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને ભાજપ સિવાયના તમામ પાંચ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા વોર્ડ નંબર 6 માં ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ જવા પામી છે.
ત્યારે આ સમગ્ર પ્રક્રિયા માટે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સાથે રઘુવંશી અગ્રણી વિનુભાઈ સોમૈયા, જગુભાઈ રાયચુરા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર તત્કાલીન શહેર પ્રમુખ અનિલભાઈ તન્ના તેમજ તેમની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.
ત્યારે મહત્વના રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો સહિતના અન્ય તમામે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા નગરપાલિકાનો અનોખો ઈતિહાસ રચાયો છે.


