Friday, September 18, 2026
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયવિશ્વમાં દરેક 10મો બાળક બાળ મજૂર

વિશ્વમાં દરેક 10મો બાળક બાળ મજૂર

બાળ મજૂરોની સંખ્યામાં ચિંતાજનક વધારો : દુનિયામાં 16 થી 20 કરોડ બાળ મજૂરો હોવાનો આંતરરાષ્ટ્રિય મજૂર સંગઠનનો અહેવાલ

સંયુક્ત રાષ્ટ્રસંઘ સંલગ્ન સંસ્થાઓ – યુનિસેફ અને આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને એક સંયુક્ત અહેવાલ રજૂ કર્યો હતો. એમાં દાવો થયો હતો કે 20 વર્ષમાં પ્રથમ વખત દુનિયામાં બાળમજૂરીનું પ્રમાણ વધ્યું છે. મહામારીના કારણે આફ્રિકન-એશિયન દેશોના ગરીબ પરિવારોના બાળકો મજૂરીમાં ધકેલાયા હોવાથી બાળમજૂરોની સંખ્યા ચિંતાજનક રીતે વધી ગઈ છે. દર 10માંથી એક બાળક મજૂરી કરી રહ્યો છે.

- Advertisement -

યુનિસેફ અને આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને એક સંયુક્ત અહેવાલ રજૂ કર્યો હતો. એમાં દાવો થયો હતો કે કોરોના મહામારીના કારણે દુનિયાભરના દેશોમાં લોકડાઉન થયું હતું. બીજા વર્ષે પણ લોકડાઉન કરવું પડયું હોવાથી અસંખ્ય પરિવારો આર્થિક રીતે પાયમાલ થયા છે. એવા પરિવારના બાળકો મજૂરીમાં ધકેલાયા હોવાથી 20 વર્ષમાં પ્રથમ વખત બાળમજૂરોની સંખ્યા વધી ગઈ છે. યુએન સંલગ્ન સંસ્થાઓએ કહ્યું હતું કે દુનિયામાં સરેરાશ 10માંથી એક બાળક મજૂરી કરે છે. દુનિયામાં અંદાજે 16થી 20 કરોડ બાળમજૂરો અસ્તિત્વમાં છે અને એમાંથી સૌથી વધુ બાળમજૂરો ખેતી ક્ષેત્રમાં કાર્યરત છે. ખાસ તો આફ્રિકન દેશોમાં સૌથી વધુ બાળમજૂરો કામ કરી રહ્યા છે. તે પછી એશિયન દેશોનો સમાવેશ થાય છે. આફ્રિકન દેશોના પાંચથી 14 વર્ષના 50 ટકા બાળકો મજૂરી કરી રહ્યા છે. 2016માં બાળમજૂરોની સંખ્યા વધીને 15.2 કરોડમાંથી 16 કરોડ થઈ હતી. કોરોના ત્રાટક્યો તે પછી 2020 અને 2021માં એ સંખ્યા વધીને 18થી 20 કરોડ થઈ હોવાની શક્યતા છે. આફ્રિકાના ગરીબ પરિવારોની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. આ પરિવારો ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા હોવાથી બાળકોને મજૂરીમાં ધકેલી દેવામાં આવે છે.

12મી જૂને વિશ્ર્વ બાળમજૂર નિષેધ દિવસ મનાવાય છે. બાળમજૂરી નાબુદ કરવાની જાગૃતિ લાવવાના ભાગરૂપે આ દિવસ નક્કી થયો છે. તે પહેલાં દર વર્ષની જેમ યુનિસેફ આંકડાં જાહેર કરે છે. આ વર્ષે સ્થિતિ વધારે બદતર થઈ ગઈ છે. બાળમજૂરી નાબુદ કરવાનું લક્ષ્યાંક પાછું ઠેલાઈ જશે. યુનિસેફ અને મજૂર સંગઠનના અહેવાલમાં કહેવાયું હતું કે 2025 સુધીમાં બાળમજૂરી સાવ નાબુદ થાય તે દિશામાં પ્રયાસો શરૂ થયા છે. કોરોના મહામારીના કારણે બધા દેશો માટે બાળમજૂરી નાબુદ કરવાનો પડકાર વધારે વિકટ બનશે. શાળા-કોલેજો બંધ હોવાથી પણ બાળમજૂરીનું પ્રમાણ વધ્યું છે. જો શાળાઓ ફરીથી શરૂ થશે તો ઘણાં બાળકો બાળમજૂરીમાંથી મુક્ત થશે. યુનિસેફે બધા જ દેશોની સરકારોને બાળમજૂરી નાબુદ કરવા વિશેષ પ્રયાસો કરવાની વિનંતી કરી હતી અને બાળકોને શિક્ષણ મળે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular