જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં પ્રૌઢ તેના મિત્ર સાથે છકડા રીક્ષામાં જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરથી પસાર થતા હતાં તે દરમિયાન વહેલીસવારના સમયે પાછળથી પૂરપાટ આવી રહેલા આઈસર ટ્રકના ચાલકે ઠોકર મારતા અકસ્માતમાં રીક્ષામાં સવાર પ્રૌઢનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની નિલકમલ સોસાયટી શેરી નંબર-6 ના છેડે રહેતા હૈદરઅલી પંજુભાઈ મીનસારીયા (ઉ.વ.56) ભંગારની ફેરી કરતા પ્રૌઢ સોમવારે વહેલીસવારના 6 વાગ્યાના અરસામાં તેના મિત્ર સાથે છકડો રીક્ષામાં જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર તુલસી પાર્ટી પ્લોટ નજીકથી પસાર થતા હતાં તે દરમિયાન પાછળથી પૂરપાટ આવી રહેલા આઈસર ટ્રકના ચાલકે છકડા રીક્ષાને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં છકડામાં સવાર પ્રૌઢના મિત્ર અને પ્રૌઢને ઈજા પહોંચી હતી. તેમાં પ્રૌઢના મિત્રને મણકામાં ગંભીર તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પ્રૌઢના મિત્રનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની હૈદરઅલી દ્વારા જાણ કરાતા પીઆઈ વી.જે. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આઈસર ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.