જામનગરમાં એકજ દિવસમાં મહતમ તાપમાનનો પારો 4.5 ડિગ્રી ઉંચકાતા શહેરીજનો સૂર્યનારાયણના આકરા મિજાજથી અકળાઇ ઉઠયા હતા. મહતમ તાપમાન 38.5 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જેને લઇ આકરા તાપ અને બફારાને કારણે શહેરીજનો પરેશાન થઇ ઉઠયા છે.

ચૈત્ર માસ પૂર્ણ થવા જઇ રહ્યો છે. ચૈત્ર માસના દનૈયાનો લોકો સામનો કરી રહયા છે. છેલ્લા 3-4 દિવસ મહતમ તાપમાન થોડા ઘણાં અંશે ઘટયા બાદ ફરી મહતમ તાપમાનનો પારો ઉંચકાયો છે. મહતમ તાપમાનમાં 4.5 ડિગ્રીનો વધારો થયો છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે પૂરા થતાં 24 કલાક દરમ્યાન લઘુતમ તાપમાન 24.0 ડિગ્રી મહતમ તાપમાન 38.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 78 ટકા તથા પવનની ગતિ 6.6 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઇ હતી. મહતમ તાપમાનનો પારો ઉંચકાતા શહેરીજનોએ અસહય ગરમી અને આકરા તાપને કારણે પરસેવે રેબઝેબ થવાનો વારો આવ્યો હતો.
સૂર્યનારાયણના તાપને કારણે શહેરીજનોએ બપોરના સમયે બિનજરૂરી બહાર નિકળવાનું ટાળ્યું હતું. તેમજ કામકાજ અર્થે નિકળતાં લોકો ટોપી, ચશ્મા તથા મોઢે રૂમાલ બાંધી આકરા તાપથી બચતા જોવા મળ્યાં હતા. શહેરની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો તથા મજૂરો પણ ગરમીને કારણે પરેશાન થયા હતા. શહેરીજનો દિવસભરની ગરમીનો સામનો કર્યા બાદ સાંજના સમયે તળાવની પાળ ડીકેવી સર્કલ સહિતના જાહેર સ્થળોએ બેસી ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાઓની મોજમજા માણી રહયા છે. ગરમીનું પ્રમાણ વધતાં શહેરીજનો લીંબુ સરબત, છાશ, સોડા, આઇસ્ક્રીમ, બરફના ગોલા, કોલ્ડ્રીંકસ સહિતની ચીજવસ્તુઓનો આનંદ ઉઠાવી રહયા છે.