પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ મમતા બેનર્જીએ રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. કોરોના સંક્રમણ રોકવા માટે રાજ્યમાં લોકલ ટ્રેનોની અવરજવર પણ રોકવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે દુકાનો પણ અમુક કલાકો માટે જ ખુલશે. કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે બંગાળમાં ચૂંટણી રેલીઓને લઇને ઘણી ટિકાઓ થઇ હતી.
મમતા બેનર્જીએ પ્રતિબંધોની જાહેરાત કરતાં કહ્યું કે, કોવિડ-19ની સ્થિતિને જોતાં કેટલાક પગલાં ભરવા પડશે. માસ્ક પહેરવું ફરજીયાત છે અને રાજ્ય સરકારની ઓફિસોમાં 50 કર્મચારી જ હાજર રહેશે. પ્રાઈવેટ સેક્ટરને વર્ક ફ્રોમ હોમ માટે કહેવામાં આવ્યું છે, જ્યારે ઓફિસમાં 50 ટકા જ કર્મચારી રહી શકશે. શોપિંગ કોમ્પ્લેક્ષ, જિમ, થિયેટર્સ, બ્યૂટી પાર્લર બંધ રહેશે. સામાજિક અને રાજકીય કાર્યક્રમ પર પણ પ્રતિબંધ રહેશે. મમતાએ કહ્યું કે, જ્વેલરીની દુકાનો બપોરે 12થી 3 વાગ્યા સુધી ખુલશે. હોમ ડિલીવરીને પ્રોત્સાહિત કરાશે. બેંક સવારે 10થી 2 વાગ્યા સુધી ખુલશે.
તમામ બજાર, છૂટક દુકાનો સવારે 7થી 10 વાગ્યા સુધી અને પછી સાંજે 5થી 7 વાગ્યા સુધી ખુલશે. 6 મેથી લોકલ ટ્રેનોની અવરજવર બંધ રહેશે. મેટ્રોમાં ક્ષમતાના 50 ટકા લોકો જ મુસાફરી કરી શકશે. 7 મેથી રાજ્યના એરપોર્ટ પર આવનારા મુસાફરોને 72 કલાકની અંદરનો આરટીપીસીઆર રિપોર્ટ લાવવું ફરજીયાત રહેશે. જે લોકો પોઝિટિવ હશે, તેમને 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરાશે. બસ સ્ટેશને રેન્ડમ તપાસ કરાશે, તો મુસાફરો માટે 72 કલાકની અંદરનો આરટી-પીસીઆર ટેસ્ટ ફરજીયાત રહેશે. ટ્રેન મુસાફરો પર પણ આ નિયમ લાગુ રહેશે.