Saturday, April 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં અંધાશ્રમ નજીક ટ્રેન હેઠળ આવી જતાં યુવાનનું મોત

જામનગરમાં અંધાશ્રમ નજીક ટ્રેન હેઠળ આવી જતાં યુવાનનું મોત

વેલ્ડીંગ કામ કરતા સુથાર યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું : શંકરટેકરી વિસ્તારમાં ખેંચ આવતા યુવાનનું મોત : નવા બંદર ખાતે મોઢામાં ફીણ આવતા યુવાનનું મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગરમાં સરદારનગર વિસ્તારમાં રહેતાં અને વેલ્ડીંગ કામ કરતા સુથાર યુવાને મંગળવારે બપોરના સમયે અંધાશ્રમ પાસે ઓવરબ્રીજ નીચે રેલવેના પાટા પર પસાર થતી ટ્રેન હડફેટે આવી જતાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાનને ખેંચ આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરના લાલપુર બાયપાસ પાસે હરીધામ સોસાયટી પાછળ રહેતાં યુવાનને નોકરી પર હતા તે દરમિયાન એકાએક મોઢામાં ફીણ આવી જતાં અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં ગોકુલનગર સરદારનગર શેરી નં.6 માં રહેતા અને વેલ્ડીંગ કામ કરતાં વિજય હસમુખભાઈ ધ્રાંગધરિયા (ઉ.વ.33) નામના સુથાર યુવાને મંગળવારે બપોરના સમયે અંધાશ્રમ પાસે ઓવરબ્રીજ નીચે રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ આવી જતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવી તેના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે મૃતકના પિતા હસમુખભાઈના નિવેદનના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના શંકરટેકરી શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતાં પૃથ્વીરાજસિંહ ઘનશ્યામસિંહ ચૌહાણ (ઉ.વ.32) નામના યુવાન દરેડ જીઆડીસી વિસ્તારમાં કારખાનામાં નોકરી કરતો હતો. દરમિયાન ગત તા.4 ના રોજ સવારના સમયે એકાએક ખેંચ આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા ઘનશ્યામસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.એસ.ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગરમાં લાલપુર બાયપાસ પાસેની હરીધામ સોસાયટી પાછળના વિસ્તારમાં રહેતાં વશરામભાઈ સવદાસભાઈ મકવાણા (ઉ.વ.46) નામના યુવાન ગુજરાત મેરીટાઈમ બોર્ડના નવા બંદર ખાતે તેની ફરજ પર હતાં તે દરમિયાન મંગળવારે સાંજના સમયે એકાએક મોઢામાં ફીણ આવતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર સાગર દ્વારા જાણ કરાતા હેકો કે.કે. ગઢવી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular