જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આર્મી એરિયાના ગેટ નજીક મોડી રાત્રે સ્ટ્રીટ લાઇટના વીજપોલમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. વીજપોલમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં ચિંતા પ્રસરી હતી. જોકે, ફરજ પર રહેલા બે હોમગાર્ડ જવાનોની સતર્કતાના કારણે આગને સમયસર કાબૂમાં લઈ મોટી દુર્ઘટના ટાળવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, રણજીતસાગર રોડ પર આર્મી એરિયાના ગેટ નજીક આવેલી સ્ટ્રીટ લાઇટના વીજપોલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. મોડી રાત્રિના સમયે વીજપોલમાંથી આગની જ્વાળાઓ દેખાતા ફરજ પરના હોમગાર્ડ જવાનો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા.
હોમગાર્ડ જવાન અરવિંદભાઈ મકવાણા અને શૈલેષભાઈ ફલીયાએ સમયસૂચકતા દાખવી ઘટનાસ્થળે જ ઉપલબ્ધ અગ્નિશામક બોટલની મદદથી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. બંને જવાનોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવતા આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.
મોડી રાત્રે બનેલી આ ઘટનામાં હોમગાર્ડ જવાનોની સતર્કતા અને તાત્કાલિક કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનામાં સમયસર આગ કાબૂમાં આવી જતા આસપાસના વિસ્તારને પણ રાહત મળી હતી. હોમગાર્ડ જવાનોની આ પ્રશંસનીય કામગીરીની સરાહના થઈ રહી છે.
View this post on Instagram


