ખાદ્યચીજોની માંડીને વિવિધ પ્રોડકટોમાં મોંઘવારીના ભરડા વચ્ચે રાહતના સંકેત હોય તેમ સીએનજી તથા પીએનજીમાં 10 ટકાનો ભાવ ઘટાડો થવાની શકયતા છે. કેન્દ્ર સરકારે ગેસની કિંમત નિયત કરવાની નીતિમાં બદલાવ કર્યો છે.નવી નીતિ અંતર્ગત પાઈપલાઈનથી અપાતા રાંધણગેસ તથા સીએનજી માટે મહતમ ભાવ મર્યાદા નિયત કરવામાં આવી છે.જેથી કિંમતમાં તૂર્ત ઘટાડો થશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી પૂર્વે સરકારનો આ નિર્ણય ઘણો મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ઘરેલુ કુદરતી ગેસની કિંમતો નકકી કરવા માટે કિરીટ પારેખ કમીટી બનાવવામાં આવી હતી. તેની ભલામણોને કેબીનેટે મંજુરી આપી દીધી છે જેને પગલે સીએનજી-પીએનજીમાં 10 ટકાનો ઘટાડો થઈ શકે છે.ગેસનાં ન્યુનતમ તથા અધિકતમ ભાવ પર મર્યાદા રહેશે.નવી નીતિ અંતર્ગત કુદરતી ગેસની કિંમત હવે ભારતીય ક્રુડ બાસ્કેટની કિંમતના આધારે નકકી થશે જે અત્યાર સુધી આંતર રાષ્ટ્રીય ધોરણે નકકી થતી હતી. હવે વૈશ્ર્વિક ઉથલપાથલની ભારતીય કિંમત પર અસર નહિં થાય.


